Get The App

ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો, ખરીદ-વેચાણ બંધ રાખવાની ચીમકી

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો, ખરીદ-વેચાણ બંધ રાખવાની ચીમકી 1 - image


Unjha Marketing Yard: ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર મહિના અગાઉ બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી નહીં થતાં વહીવટદારનો દબદબો રહ્યો છે. જેના લીધે વેપારીઓની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થવાના સૂર સાથે નારાજગી પ્રવર્તી રહી હતી. આ દરમિયાન બુધવારે માર્કેટ યાર્ડના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે જ્યાં સુધી વેપારીઓની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ખેડૂતોની કૃષિ ઉપજોના ખરીદ અને વેચાણની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં હોબાળો થયો હતો. જોકે, છેવટે વહીવટદાર સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

વેપારીની સમસ્યામાં વધારો

એશિયા ખંડની સૌથી મોટી એવી ઊંઝા APMCના બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી 16 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો આમનેસામને આવી જતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની મળી 15 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેના બીજા દિવસે જાહેર થયેલા પરિણામોમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલને બહુમતી મળી હતી. જેના લીધે યાર્ડના બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થયાને ચારેક માસ જેટલો સમય વિતી ગયો છતાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જેમાં વેપારીઓની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો હોવાથી નારાજગીના સૂર ઝળક્યા છે. આ દરમિયાન, બુધવારે ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે જ્યાં સુધી તેઓના પ્રશ્નોનો સુખદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના માલની ખરીદી અને વેચાણની પ્રક્રિયા બંધ રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત

વેપારી સાથે વાતચીત બાદ મામલો થાળે પડ્યો

પ્રક્રિયા બંધ રાખવાના નિર્ણયથી હોબાળો થતાં વહીવટદાર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વેપારીઓ સાથે વાતચીત કરીને તેઓની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે સવારે ખેડૂત માલની હરાજી મુદ્દે APMC દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે વેપારીઓમાં ગેરસમજ થતાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સાંજે પાંચ કલાકે ઊંઝા APMCના વહીવટદાર, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ ઊંઝા માર્કેટયાર્ડ વૈપારી ઍસોસિએશન પ્રમુખ સહિત હોદેદારોની યોજાયેલી બેઠકમાં સુખદ ઉકેલ આવતાં વેપારીઓએ આવતીકાલે માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ઊંઝા માર્કેટયાર્ડ ખાતે ગુરુવારથી રાબેતા મુજબ હરાજીનું કામકાજ ચાલુ રહેશે. 

આ પણ વાંચોઃ ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, સહકારી ક્ષેત્રે રાજ્ય સરકારના હસ્તક્ષેપને લીધે મહેસાણા જિલ્લાના કડી માર્કેટયાર્ડની ચૂંટણી બાદ એક વર્ષ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબે થયો હતો. ત્યારબાદ તેવી જ પરિસ્થિતિ હાલમાં ઊંઝા માર્કેટયાર્જમાં સર્જાતાં રાજકીય તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બોર્ડ ન બેસે ત્યાં સુધી ખરીદ-વેચાણ નહીં કરાયઃ નરેન્દ્રભાઈ પટેલ 

વેપારી વિભાગમાંથી ડિરેકટર તરીકે ચૂંટાયેલા નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી APMCની ચૂંટણી થઈ ગઈ છે. પરંતુ, સરકાર દ્વારા ચૂંટાયેલી બોડીને પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવતાં વેપારીઓની સમસ્યાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. હાલમાં ઊંઝા એપીએમસીમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જેથી જ્યાં સુધી વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ ન આવે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બોર્ડે ન બેસે ત્યાં સુધી માર્કેટયાર્ડમાં ખરીદ-વેચાણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. 

Tags :