ડી.જી.નાકરાણીની રૃ. ૧૧.૫૦ કરોડની દરખાસ્ત નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં નિર્ણય માટે રજૂ કરાયેલા ૧૦ કામોમાંથી ૯ કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે પાર્કસ્ એન્ડ ગાર્ડન શાખા માટે માનવબળ પૂરું પાડવાના ઇજારાને લગતી વિવાદિત દરખાસ્ત નામંજૂર કરાઈ છે.
સ્થાયી સમિતિએ ઇજનેરો તથા ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ઇજારાની મુદતમાં વધારો કરવાની દરખાસ્તોને મંજૂરી આપી છે.
પાર્કસ્ એન્ડ ગાર્ડન શાખામાં માનવબળ પૂરું પાડવા માટે ઇજારદાર ડી.જી. નાકરાણીની દરખાસ્ત અગાઉથી જ વિવાદમાં રહી હતી. વિપક્ષે અગાઉ આ દરખાસ્તનો વિરોધ નોંધાવી ઝોનવાઈઝ ઇજારા ફાળવવાની માગ કરી હતી. ઉપરાંત, એક સામાજિક કાર્યકરે પણ વિવિધ આક્ષેપો સાથે આ દરખાસ્ત પરત મોકલવાની રજૂઆત કરી હતી.
બેઠક દરમિયાન ડી.જી. નાકરાણીની દરખાસ્તને નામંજૂર કરવાનો નિર્ણય કરી બાકીના તમામ નવ કામોને મંજૂરીની મહોર મારી છે.
ઉલ્લેખનીય છે કે ઇજારદાર ડી.જી. નાકરાણી સામે અગાઉ પણ અનેક આક્ષેપો થયા હતા. કામદારોએ વેતન, પ્રોવિડન્ટ ફંડ (પીએફ), કર્મચારી રાજ્ય વીમા યોજના (ઈએસઆઈ) સહિતના મુદ્દાઓને લઈને વાંધા ઉઠાવ્યા હતા, જેને ધ્યાનમાં રાખી દરખાસ્તને મંજૂરી ન આપવા રજૂઆતોે થઈ હતી.
સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું કે કર્મચારીઓના હિતને પ્રાધાન્ય આપી હવે પાર્કસ્ એન્ડ ગાર્ડન શાખામાં માનવબળ પૂરું પાડવા માટે ઝોનવાઈઝ ઇજારાની પ્રક્રિયા હાથ ધરવાનો ઠરાવ કરાયો છે.









