વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાંથી 22 હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું

સૌથી વધુ પાસપોર્ટ સરંડર કરવામાં દિલ્હી મોખરે, પંજાબ બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાંથી 22 હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું 1 - image


અમદાવાદ, બુધવાર

તાજેતરમાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ ખાતે માનવ તસ્કરીમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા. આ મુસાફરો ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં સ્થાયી થવાના ચલણમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2013થી વર્ષ 2022માં ગુજરાતમાંથી 22 હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરંડર કર્યો છે.

વિદેશમાં સ્થાયી થવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે

વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું હતું. 2011થી 2022 સુધી 16.63 લાખ લોકો દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરવામાં આવેલું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ભારતીય નાગરિકત્વ જતું કરીને વિદેશમાં સ્થાયી થવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદેશમાં સ્થાયી થનારામાં મોટાભાગના યુવાનો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય પાસપોર્ટ જે રાજ્યમાંથી સૌથી વધુ સરંડર થયા હોય તેમાં દિલ્હી 60414 સાથે મોખરે, પંજાબ 28117 સાથે બીજા, ગુજરાત ત્રીજા, મહારાષ્ટ્ર 17171 સાથે ચોથા અને કેરળ 19247 સાથે પાંચમાં સ્થાને છે.

ભારતીય યુવાનો હવે ન્યૂઝીલેન્ડ, જર્મની ઉપર પણ પસંદગી ઉતારી  રહ્યા છે

2018થી 2022 દરમિયાન સમગ્ર દેશમાંથી અમેરિકાનું નાગરિકત્વ સૌથી વધુ 13044 દ્વારા, કેનેડાનું નાગરિકત્વ 7472, યુનાઈટેડ કિંગડમનું નાગરિકત્વ 171, ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ 1686 દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અનેક ભારતીય યુવાનો હવે ન્યૂઝીલેન્ડ, જર્મની ઉપર પણ પસંદગી ઉતારી રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેટલી વ્યક્તિઓએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું

વર્ષ નાગરિકત્વ જતું કર્યું

2018 1.34 લાખ

2019 1.44 લાખ

2020 85,226

2021 1.63 લાખ

2022 2.25 લાખ


Google NewsGoogle News