સુરતમાં 15 હજાર પોલીસ જવાનો તહેનાત, પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગણેશ વિસર્જનને લઈને ચાંપતો બંદોબસ્ત

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Surat Police


Surat Police Security On Eid-e-Milad And Ganesh Visarjan : રાજ્યમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદ તહેવાર દરમિયાન કોઈ અણબનાવની ઘટના ના બને તે માટે રાજ્ય પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના બંને તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 15,000 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. આ દરમિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો : ગણેશ વિસર્જન-ઈદે મિલાદના દિવસે વડોદરામાં લોખંડી બંદોબસ્ત, જાણો વિસર્જન માટે ક્યાં ક્યાં કરાઈ છે વ્યવસ્થા

શહેરમાં 15 હજાર પોલીસ જવાનો તહેનાત

સુરત પોલીસ કમિશનર જણાવ્યું છે કે, 'સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના 15,000 જવાનો તહેનાત કરી દેવાયા છે. આ સાથે સ્ટેટ રિઝર્વ પોલીસની 11 કંપની અને રેપિડ એક્શન ફોર્સની એક કંપનીનો બંદોબસ્ત રહેશે. રૂટ પરના 400 ધાબામાં પોલીસ તહેનાત કરાઈ છે. 12 ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'

શાંતિ સમિતિની મીટિંગ કરાઈ

શહેરમાં ગણપતિ વિસર્જન તેમજ ઈદ એ મિલાદના તહેવાર દરમિયાન કોમી-એકતા જળવાઈ રહે તે માટે સુરત શહેર અડાજણ પોલીસ દ્વારા મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યાં હતા.


Google NewsGoogle News