જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઇજાગ્રસ્ત, ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી
Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરતા અનેક લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરના વિનોદ પટેલ ઘાયલ થયા છે, તેમને અનંતનાગની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ટ્રેન દ્વારા ભાવનગર થી જમ્મુ કશ્મીર માટે ભાવનગરના 20 પ્રવાસીઓ ગયા હતા. આ સિવાય ગુજરાતના માનિક પટેલ અને રિનો પાંડેય પણ ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ અને ડૉ. પરમેશ્વર ઘાયલ થયા છે. આ સિવાય કર્ણાટકના અભિજવન રાવને પણ ઈજા પહોંચી છે. અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે હાઈલેવલની બેઠક બોલાવી છે. અમિત શાહ ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર પહોંચશે.
પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર
આતંકવાદી હુમલામાં ચાર પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો
થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.