એક સમયે કોંગ્રેસનું રાજ હતું ત્યાં ગુજરાતની આ આખી કોર્પોરેશન કોંગ્રેસમુક્ત થઈ જશે
લોકસભાની ચૂંટણી પહેલા અને હોળાષ્ટક પછી બે કોર્પોરેટર કેસરિયો કરશે
સોમવારે વિધિવત ભાજપમાં જોડાય તેવી શક્યતા
Lok Sabha Elections 2024: એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા બે કોપોરેટર હોળાષ્ટક પછી ભાજપનો ભગવો ધારણ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. સોમવારે વિધિવત રીતે ભાજપના ભરતી મેળામાં કોપરેટરો જોડાઈ જતા કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બનશે તેમ જાણવા મળી રહ્યું છે.
ભાજપ દ્વારા ભરતી મેળો શરુ કરવામાં આવ્યો
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે અને વિપક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોથી માડી કાર્યકરોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે ગાંધીનગર મહાનગરપાલિકા ઉપર ભાજપ દ્વારા નજર દોડાવવામાં આવી છે અને ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ દ્વારા વિધિવત હોળાષ્ટક પછી પ્રવેશ આપવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત બની જશે
ભાજપ દ્વારા આ બંને કોર્પોરેટરો સાથે છેલ્લા થોડા દિવસોથી બેઠક કરવામાં આવી હતી અને તેમાં ભાજપને સફળતા મળી છે. નોંધવું રહેશે કે વિજાપુરના ધારાસભ્ય તરીકે સી.જે ચાવડાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં ભળી ગયા હતા અને તેમના ટેકેદારો તરીકે ગણાતા આ બંને કોર્પોરેટરો હવે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ મેળવી લેશે. જેના કારણે ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત બની જશે.
કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તો સંખ્યાબળ 43નું થશે
કોર્પોરેશનમાં હવે વિપક્ષમાં ફક્ત એક જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહેશે. જેને પણ આગામી દિવસમાં ભાજપ દ્વારા સમાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં કોઈ વિપક્ષ જ નહીં રહે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. હાલ 44 પૈકી 41 કોપોરેટર ભાજપના છે ત્યારે બે કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તો સંખ્યાબળ 43નું થશે.