ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી

ટેકાના ભાવથી ખરીદી માટે ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી પડશે

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી 1 - image


Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં તુવેર, ચણા અને રાયડાની 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જે આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

રૂ. 1765 કરોડની કિંમતના ચણા રાજ્ય સરકાર ખરીદશે

મહત્ત્વની જાહેરાત કરતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની તુવેરની ખરીદી કરશે અને રૂ. 1765 કરોડની કિંમતના ચણા રાજ્ય સરકાર ખરીદશે. તથા રૂ. 853 કરોડના રાયડાની પણ ખરીદી રાજ્ય સરકાર કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો દ્વારા પ્રોત્સાહન આપવુ એ જ અમારો નિર્ધાર છે.'

રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન

રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેરની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે

કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે

ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 7000 પ્રતિ ક્વિ. (રૂ. 1400 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિ. (રૂ. 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિ. (રૂ. 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી 2 - image


Google NewsGoogle News