યુ.એન.મહેતા હોસ્પિટલમાં થયેલ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો
- હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને દર્દી સ્વગૃહે પરત થયા
અમદાવાદ,તા.18 ઓક્ટોબર 2022,મંગળવાર
તાજેતરમાં જ ૨૭મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સિવિલ મેડીસીટીની યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૯૨ માં અંગદાનમાં મળેલા હ્રદયનું ગાંધીનગરના ૧૬ વર્ષીય યુવકમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ.
હ્રદયના પ્રત્યારોપણ બાદ અંદાજીત ૧૬ દિવસ દેખરેખ હેઠળ રહ્યાં બાદ આજરોજ યુ.એન. મહેતા હોસ્પિટલ થી આ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતુ.
આ યુવક જન્મથી જ ARVDની બીમારીથી પીડાઇ રહ્યો હતો અને છેલ્લા એક વર્ષથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હ્રદય પ્રત્યારોપણ પછી દર્દીને માત્ર આઠ કલાકમાં વેન્ટીલેટર તથા અન્ય સપોર્ટ સીસ્ટમથી દૂર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં બે દિવસ પછી દર્દી પોતાની રીતે સ્વતંત્રપણે હરી-ફરી શકતા હતા તેમજ અન્ય દીનચર્યા જાતે કરી શકતા હતા. આ દરમિયાન દર્દીને જરૂરી સમતોલ આહાર તથા દવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. આ તમામ સારવાર-શુશ્રુષા બાદ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ જણાઇ આવતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે