દંપતિએ ૨૦ દિવસ સુધી મહેનત કરીને ચંદ્રયાન -3 થીમ પર બનાવ્યો ગણેશ પંડાલ
ગણેશજીનો પ્રસાદ લાડૂ, સિંગપાક, ટોપરાપાક અને શિરો ઘરે જાતે જ તૈયાર કરે છે
ગણેશજીની પ્રતિમા ઇકો ફેન્ડલી જ લાવવામાં આવે છે. સોસાયટીમાં જ વિસર્જન કરે છે
અમદાવાદ,20 સપ્ટેમ્બર,2023,બુધવાર
ગણેશ ઉત્સવ ઉજવવા માટે અમદાવાદીઓમાં ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આશ એપાર્ટમેન્ટમાં રહેતા દંપતિ દેવાંગભાઇ અને અર્ચનાબેન નાગોરીએ પોતાના ઘરે ચંદ્રયાન -૩ ની થીમ પર આધારિત પંડાલ તૈયાર કર્યો છે. ગણેશજીની બાજુમાં દેશના ગૌૈરવસમું ઇસરોનું ચંદ્વયાન રોકેટ જોવા મળી રહયું છે.
આ રોેકેટ મોડેલ દંપતિએ કાર્ડબોર્ડ, ચાર્ટ પેપર મડ વગેરેનો ઉપયોગ કરીને જાતે જ તૈયાર કર્યુ છે. આ અંગે વાત કરતા અર્ચનાબેન કહે છે ૨૦ થી ૨૫ દિવસ પહેલા જ ગણેશ ઉત્સવની તૈયારી શરુ થઇ જાય છે. આ વર્ષે ચંદ્રયાન-૩ મિશન અંર્તગત ઇસરોના વિક્રમ લેન્ડરે ચંદ્વના દૂરદરાજ ગણાતા દક્ષિણ ધુ્વ પર ઉતરાણ કરીને ભારતને મોટી સિધ્ધિ અપાવી છે.
દેશ માટે ગૌરવની ક્ષણ હોવાથી આ થીમ પસંદ કરી છે. ચંદ્રયાન -૩ની થીમ પસંદ કરતા હું ખૂબજ પ્રાઉડ અનુભવું છું. સવારે પરીવારના સભ્યો જયારે સાંજે પાડોશીઓ અને સગા સંબંધીઓ ભેગા મળીને ગણેશજીની આરતી કરે છે. પ્રસાદ વહેંચવામાં આવે છે. ગણેશજીની પ્રતિમા ઇકો ફેન્ડલી જ લાવવામાં આવે છે.
દંપતિએ વધુમાં જણાવ્યું હતું કે ગણેશજીનો પ્રસાદ બજારમાંથી લાવવાના સ્થાને દરરોજ લાડૂ, સિંગપાક, ટોપરાપાક અને શિરો ઘરે જાતે જ બનાવીને તૈયાર કરવામાં આવે છે. ૨૦૧૩માં પ્રથમવાર ગણેશજીની સ્થાપના કરી હતી ત્યારથી સળંગ ૧૧ મી વાર ગણેશજીનું આગમન થયું છે.અગાઉ વિલેજ,ફોરેસ્ટ, સોલાર સિસ્ટમ, કૈલાસ પર્વત જેવી થીમ પણ તૈયાર કરી હતી. પાંચ દિવસ પછી ગણેશ વિસર્જન સોસાયટીમાં જ કરવામાં આવે છે. સૌ ઉત્સાહથી ભાગ લે છે આથી શ્રધ્ધા,ભકિત તથા એકતાનો માહોલ ઉભો થાય છે.