Get The App

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 1 - image


Gujarat Crime: ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. પરંતુ, પોલીસ પોતાની જાહેર કરેલી ડેડલાઈન પણ જાળવી નથી શકી. 100 કલાક ઉપર બીજા 48 કલાક વીતી ગયા બાદમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને ટૂંક સમયમાં ત્યાં બુલડોઝરની કાર્યવાહી પણ શરૂ થઈ જશે. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી કરી છે. 

SMC એ બુટલેગરોની યાદી જાહેર કરી

SMC દ્વારા ગુજરાતના 15 એવા જાણીતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6 બુટલેગરો અમદાવાદના છે અને ત્રણ તો ગૃહરાજ્ય મંત્રીના જ શહેર સુરતમાંથી સામે આવ્યા છે. યાદીમાં સમાવિષ્ટ લોકોએ જુગાર, દારૂ, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો ભેગા કમાણી કરી પોતાની મિલકત ભેગી કરી છે. જેમાં અમદાવાદના મનપસંદ ક્લબ, સરદાર નગરનો સાવર, ક્રિકેટ સટ્ટાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઊંઝા જેનો બંગલો સિંધુભવન રોડ પર હોવાનું સામે આવ્યું છે. પોલીસની યાદી અનુસાર, આ લોકોમાંથી કોઈએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તો કોઈએ દુકાનો બનાવીને પોતાનો બીજો ધંધો સેટ કર્યો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર

15 બુટલેગરોની યાદી

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 2 - image

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 3 - image

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 4 - image

1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર

નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે. અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે.  આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન  નક્કી કરાશે.

રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત, 958 મિલકત સંબંધિત, 516 જુગાર, 545 અન્ય શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.

જ્યારે અમદાવાદ શહેરના 25, મોરબીના 12, સુરતના 7, ગાંધીનગરના 6,  વડોદર શહેરના 2 સહિત કુલ 59 વિરૂદ્ધમાં પાસાનો અને 10 જેટલાં શખ્સો વિરૂદ્ધમાં હદપારની કાર્યવાહી સહિત 724 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ, દબાણો વગેરે મામલે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 'સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે'...વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

તંત્ર પર ઊભા થયા સવાલ

  • તંત્રની કાર્યવાહીને લઈને અહીં અનેક સવાલ ઊભા થાય છે કે, જો તમને આ ગેરકાયદે બાંધકામ વિશે માહિતી હતી તો પહેલાં કાર્યવાહી કેમ ન કરી આવા કોઈ કાંડની રાહ શું કામ જોઈ? કેમ પહેલાં આવા અસામાજિક તત્ત્વોને છાવરવામાં આવ્યા? 
  • બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ અસામાજિક તત્ત્વોની ગેરકાયદે મિલકત અને ઘર તોડી પાડ્યા બાદ શું દૂષણ ખતમ થઈ જશે? દારૂ અને જૂગારમાં સંડોવાયેલા આ અસમાજિક તત્ત્વો સામે એમના મુખ્ય ધંધા પર કાર્યવાહી કરવામાં કેમ નથી આવી રહી? કોઈ દારૂના અડ્ડા કે જૂગારધામ પર રાજ્ય સરકારની આંખ લાલ થશે કે કેમ? 

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 28 PI ની એકસાથે બદલી કરી દેવામાં આવી છે. 


Tags :