સરકાર તરફથી પડતર પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન, આરટીઓના ઑફિસરો કામ પર પરત ફર્યા, રાબેતા મુજબ કામગીરી શરુ
RTO Officer Protest : રાજ્યભરમાં આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતા આર.ટી.ઓના ટેક્નિકલ ઑફિસર કામ પર પરત ફર્યા છે. વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે. આજે 12 વાગ્યા પછી જે અરદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હશે તેમની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે 'નો લોગિન ડે' અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોના યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવતા તમામ ઑફિસરો કામ પર પરત ફર્યા છે.