'ખોટો હોઉ તો માથું વાઢી લેજો' RMCની સામાન્ય સભામાં બગડ્યા સાગઠિયા, ખાડા-લાકડા કૌભાંડ મુદ્દે હોબાળો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
'ખોટો હોઉ તો માથું વાઢી લેજો' RMCની સામાન્ય સભામાં બગડ્યા સાગઠિયા, ખાડા-લાકડા કૌભાંડ મુદ્દે હોબાળો 1 - image


Rajkot News : આજે 20 સપ્ટેમ્બરે રાજકોટ મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભા હંગામેદાર રહી. જનરલ બોર્ડમાં વિપક્ષે રસ્તા પરના હજ્જારો ખાડા, સ્મશાનના લાકડાઓનું કૌભાંડ અને ચોમાસામાં મૃત્યુ પામેલી ગાયો સહિતના મુદ્દે સવાલો કરતા હોબાળો મચ્યો. સવાલો પર ચર્ચા કરવાને બદલે આક્ષેપ પ્રતિઆક્ષેપો થયા. મેયરે યોગ્ય જવાબ ન આપતા વિપક્ષે પોસ્ટરો બતાવી વિરોધ કર્યો. પરંતુ સત્તા પક્ષ અને વિપક્ષની બબાલ વચ્ચે પ્રજાના મહત્વના પ્રશ્નો બાજુ પર રહી ગયા.     

BPMC એક્ટની પુસ્તક બતાવી કર્યો વિરોધ

વિપક્ષના નેતા વશરામ સાગઠિયા પોસ્ટર લઈને ઊભા થઈ ગયાં હતાં અને મેયર પાસે સવાલોના જવાબ માંગ્યા હતાં. BPMC એક્ટનું પુસ્તક લઈને પહોંચેલા સાગઠિયાએ આક્ષેપ લગાવ્યો કે 'સામાન્ય રીતે દર મહિને 20 તારીખ પહેલાં જનરલ બોર્ડ બોલાવવું જોઈએ, પરંતુ રાજકોટ મનપા દર બે મહિને બોલાવે છે' મેયર ખાડા અને રસ્તાની પરિસ્થિતિ વિશે રિપોર્ટ આપી રહ્યાં હતાં, ત્યારે સાગઠિયા આક્રામક બન્યા હતાં.   સાગઠિયાએ કહ્યું કે, ‘રાજકોટમાં 12 હજાર ખાડા છે, તે બધાં જ જાણે છે.’

આ પણ વાંચોઃ કેમ ભાગ્યા ભાઈ... ક્ષત્રિય મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબાનો વીડિયો વાયરલ

વિપક્ષ પર કર્યાં વળતાં પ્રહાર

વિરોધ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષને આડેહાથ લીધું અને આરોપ લગાવ્યો કે, મીડિયા ન હોય તો વિપક્ષના એક પણ કોર્પોરેટર બોલવા માટે ઊભા નથી થતાં. 

64 કરોડના રોડ બનાવ્યાં તો ખાડાં કેમ પડ્યાં? : સાગઠિયા

મીડિયા સાથે વાતચીત દરમિયાન વશરામ સાગઠિયાએ કહ્યું કે, ‘બ્રિજ તૂટી જાય તો તેમાં જવાબદારી કોની ફીટ થાય છે? અધિકારીની, કોન્ટ્રાક્ટરની કે પછી પદાધિકારીની? આ મારો પ્રશ્ન હતો. જેનો જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ ન હતાં અને જવાબ આપી પણ નથી શક્યાં. એટલે ક્યાંકને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે, તેનો ક્યાંક હાથ છે તેવું સ્પષ્ટ દેખાય છે.'

આ પણ વાંચોઃ જવાહરનો વધુ એક લેટર બોમ્બ: 'કોંગ્રેસમાં હતો તો ભાજપે મદદ કરી, ભાજપમાં આવ્યો તો હરાવવા મથ્યા'

રાજકોટમાં 1,200 ખાડા કે 12,000?

સાગઠિયાએ કહ્યુ્ કે રાજકોટમાં લોકોના કહ્યાં મુજબ રસ્તાઓ પર 12 હજાર ખાડાઓ છે. જો કે, 1200     થી 1300 ખાડા તો નીરિક્ષણ સમયે મેં ગણ્યા છે. 64 કરોડ 27 લાખના રસ્તા બનાવ્યા તો પછી ખાડા કેમ પડ્યાં? આ ખાડો પૂરવાનો ખર્ચ આપણે કોની પાસેથી લેવાનો? રોડની ગેરંટી આપણે કોની પાસેથી લેવાની?’

સ્મશાનના લાકડાના કૌભાંડનો આરોપ

સાગઠિયાએ આરોપ લગાવ્યો હતો કે, 'અહીં સત્તાપક્ષ દ્વારા પોતાની મનમાની કરવામાં આવે છે. દર મહિનાની બદલે બે મહિને બોર્ડ બોલાવવામાં આવે છે, તે પણ બિઝનેસને લગતાં મુદ્દા લેવાય છે' વિપક્ષના કોર્પોરેટરે દાવો કર્યો કે 'ગેરબંધારણીય રીતે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સ્મશાન માટેના લાકડાના કોન્ટ્રાક્ટનું ટેન્ડર જ નથી બહાર પડ્યું. બારોબાર કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. આ વિશે ચકાસણી કરાવી લેજો અને ખોટો હોવ તો માથું વાઢી લેજો'.

ગૌ રક્ષાની વાતો કરનારના રાજમાં ગાયોના મોત: સાગઠિયા

આ તમામ વચ્ચે સાગઠિયાએ એક ગંભીર આરોપ સત્તા પક્ષ પર લાગવ્યો છે. રાજકોટમાં પાંચ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદમાં 200 થી 250 ગાયોના મોત થયાનો દાવો કર્યો છે. 'અસંખ્ય ગાયો વરસાદમાં ઠુંઠવાઈને અને ખોરાક વિના મરી ગઈ છે. મારી દ્રષ્ટીએ આ ગાયોની હત્યા છે'.


Google NewsGoogle News