એ ચાર ઘટના જેણે ગુજરાતીઓને હચમચાવી મૂક્યાં, આગથી લઈને પાણી સુધીની તબાહીમાં અનેકના મોત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
એ ચાર ઘટના જેણે ગુજરાતીઓને હચમચાવી મૂક્યાં, આગથી લઈને પાણી સુધીની તબાહીમાં અનેકના મોત 1 - image


Image Source: Twitter

Rajkot Gaming Zone Tragedy: ગઈકાલે સાંજે ગુજરાતના રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થઈ ગયા છે. દુર્ઘટના બાદ રાજકોટ પોલીસે TRP ગેમ ઝોનના માલિક અને તેના મેનેજરની અટકાયત કરી છે. રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી. સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો  'ટીઆરપી ગેમ ઝોન'માં માનવીય બેદરકારીના કારણે આગ લાગતા ક્ષણભરમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા તેમાં રહેલા 9 બાળકો સહિત 35થી વધારે નિર્દોષ લોકો જીવતા સળગી જતા અત્યંત દર્દનાક મોતને ભેટ્યા છે.

ઉનાળાની રજાઓ માણવા લોકો અને મોટે ભાગે બાળકો આ TRP ગેમ ઝોનમાં આવે છે. આ દરમિયાન ખૂબ ભીડ હોય છે. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે,  નાના-મવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં બાળકો સહિત ઘણા લોકો રમતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ ભયાનક ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોય. જો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આવી ચાર ભયાનક ઘટનાઓ બની છે જેણે ગુજરાતીઓને હચમચાવી મૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ તમામ ઘટનાઓમાં રાજ્યના લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે.

4 ઘટના જેણે ગુજરાતીઓને હચમચાવી મૂક્યાં

1. 24 મે 2019- સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ

2. 18 જાન્યુઆરી 2023- વડોદરા હરણી બોટ દુર્ઘટના

3. 30 ઓક્ટોબર 2022- મોરબી બ્રિજ દુર્ઘટના

4. 25 મે 2024 રાજકોટ અગ્નિકાંડ

25 મે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ

શનિવારે સાંજે નાના-મવા રોડ પર સ્થિત ગેમ ઝોનમાં આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમી રહ્યા હતા. આ માસૂમ બાળકોના માતા-પિતાને ક્યાં ખબર હતી કે, આ બાળકોનું હાસ્ય એક જ ક્ષણમાં ખતમ થઈ જશે. ભીષણ આગે ટીઆરપી ગેમ ઝોનની બે માળની ઈમારતને પોતાની લપેટમાં લઈ લીધી. ઉનાળાની રજાઓ અને વીકએન્ડના ધસારાને કારણે બિલ્ડિંગમાં અંદાજે 300 લોકો હાજર હતા જેમાંથી વધુ પડતા બાળકો હતા. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થઈ ગયા છે.

24 મે 2019- સુરત તક્ષશિલા અગ્નિકાંડ

ગુજરાતના સુરતના સરથાણા વિસ્તારમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીના મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. આ કોચિંગ સેન્ટર તક્ષશિલા કોમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળે આવેલું હતું. તેમાં મોટાભાગના કિશોરો હતા. તમામ વિદ્યાર્થીઓના મોત ગૂંગળામણને કારણે અને કોમ્પ્લેક્સમાંથી આગથી બચવા કૂદ્યા હોવાના કારણે થયા હતા. આગ લાગી ત્યારે બાળકો પોતાને બચાવવા માટે બારીમાંથી કૂદતા પણ દેખાયા હતા, જે ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

18 જાન્યુઆરી 2023- વડોદરા હરણી બોટ દુર્ઘટના

18 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત 16 લોકોનાં મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બે ડઝન વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો પિકનિક મનાવી રહ્યા હતા અને હરણી તળાવમાં બોટની સવારી કરી રહ્યા હતા. 

30 ઓક્ટોબર 2022- મોરબી બ્રિજ દુર્ઘટના

30 ઓક્ટોબરના રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોને ખબર હતી કે એક પુલ થોડી જ સેકન્ડમાં એવી રીતે તૂટી જશે કે લોકોની ખુશી માતમમાં બદલાઈ જશે. મોરબી શહેરમાં રવિવારે સાંજે બનેલી ભયાનક ઘટના છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં બનેલી સૌથી ખરાબ દુર્ઘટમાંથી એક છે. તેમાં 135 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા. 137 વર્ષ જૂનો ઝૂલતો પુલ માત્ર પાંચ દિવસ પહેલા સમારકામ બાદ ફરીથી ખુલ્લો મુકાયો હતો.


Google NewsGoogle News