રાજકોટ અગ્નિકાંડમાં ટાઉન પ્લાનરને બલિનો બકરો બનાવી ભાજપના નેતાઓને બચાવવાની વેતરણ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડમાં ટાઉન પ્લાનરને બલિનો બકરો બનાવી ભાજપના નેતાઓને બચાવવાની વેતરણ 1 - image


Rajkot Game Zone Fire : રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં ટાઉન પ્લોનિંગ ઓફિસર (TPO) મનોજ સાગઠિયાને બલિનો બકરો બનાવીને ભાજપના નેતાઓને બચાવવાનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) મનોજ સાગઠિયા રાજકોટનો બેતાજ બાદશાહ હોય અને પોતાનું ધાર્યું કરતો હોય એવું ચિત્ર ઉભું કરીને સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવતા ભાજપના નેતાઓને છાવરવાની કોશિશ કરી રહી છે એવું લાગી રહ્યું છે.

રાજકારણીઓની પણ વરવી ભૂમિકા

ચૂંટાયેલી પાંખની છત્રછાયા વિના કોઈ  અધિકારી બેફામ રીતે વર્તી જ ના શકે એ નાના છોકરાને પણ સમજાય એવી વાત છે. આમ છતાં ભાજપના નેતાઓ દૂધે ધોયેલા હોય એ રીતે તેમને બચાવવાની કોશિશ થઈ રહી છે. ટીઆરપી ગેમ ઝોનને બેરોકટોક ચાલવા દેવા સહિતના ગેરકાયદેસર ધંધામાં સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવતા રાજકારણીઓની પણ વરવી ભૂમિકા હતી. 

IAS અને IPS અધિકારીઓની પૂછપરછ કરી 

એસઆઈટીએ આ કેસમાં રાજકોટના ભૂતપૂર્વ પોલીસ કમિશનરો રાજુ ભાર્ગવ અને બલરામ મીણા ઉપરાંત ભૂતપૂર્વ કમિશનર આનંદ પટેલ સહિતના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરી છે પણ હજુ સુધી કોઈ નેતાને પૂછપરછ માટે બોલાવ્યા નથી કે એવો ઈરાદો પણ વ્યક્ત કર્યો નથી. 

ત્રણ નેતાઓની ભૂમિકા પણ તપાસ કરવી જોઈએ

રાજકોટ ભાજપના નેતાઓએ કમલમ ખાતે મોકલેલી પત્રિકામાં મનોજ સાગઠિયાની સાથે ભૂતપૂર્વ મેયર પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી અને યુવા મોરચાના કુલદીપસિંહ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે. સાગઠિયા જેલમાં છે ત્યારે ભાજપ સરકારે બાકીના ત્રણ નેતાઓની ભૂમિકા પણ તપાસ કરવી જોઈએ એવું ભાજપના જ નેતા કહી રહ્યા છે.

સાગઠિયાના ગેરકાયદેસરના ધંધામાં ભાજપના નેતાનો પુત્ર ભાગીદાર

સાગઠિયા પાસે 200 કરોડની જમીન સહિતની કરોડોની મિલકતો હોવાનું કહેવાય છે. સાગઠિયા પાસે રાજકોટમાં 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ ઉપરાંત ગોંડલ, વીરપુર સહિત અનેક સ્થળે પ્રોપર્ટી હોવાનું કહેવાય છે. જેતપુર રાજકોટ નેશનલ હાઈ-વે ચરખડી પાસે આલાગ્રાન્ડ ફાર્મ હાઉસ બની રહ્યું છે. હાઈ-વે પર આવેલું એક ફાર્મ હાઉસ પણ સાગઠિયાના પરિવારનું હોવાની ચર્ચા છે. સાગઠિયાએ આ સંપત્તિ ભાજપને એક ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર સાથેની સાંઠગાંઠમાં ઉભી કરી હોવાનું કહેવાય છે. સાગઠિયા સામે એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે પણ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્રની વાત આવતાં જ ભાજપના નેતા આઘાપાછા થવા લાગે છે. ભાજપના નેતા સાગઠિયાના ભ્રષ્ટાચાર વિશે પણ કશું બોલવા તૈયાર નથી.

રાજકોટ અગ્નિકાંડમાં ટાઉન પ્લાનરને બલિનો બકરો બનાવી ભાજપના નેતાઓને બચાવવાની વેતરણ 2 - image


Google NewsGoogle News