નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી 1 - image


Rain prediction During Navratri : ગુજરાતીઓના સૌથી પ્રિય ગણાતા નવરાત્રિના તહેવારની શરુઆત 3 ઑક્ટોબરથી થશે. જેને લઈને રાજ્યભરમાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વખતે રાજ્ય સરકાર દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ આ ગરબાપ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે કે 3થી 5 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિ દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 8થી 10 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે, જ્યારે 10થી 14 ઑક્ટોબર દરમિયાન અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે તેવી શક્યતાઓ હોવાથી વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળતાં વરસાદ પડી શકે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાત

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું હતું કે આ વખતે 9 દિવસ તડકો રહેશે અને ભારે ગરમી પડી શકે છે. સમય સાથે ઠંડક પ્રસરવાની શકયતા છે. જો કે નવરાત્રિમાં ગરમીના કારણે લોકલ સિસ્ટમ સક્રિય બનશે તેમજ નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે. હસ્ત નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકતો હોય છે. નવરાત્રિની શરુઆતમાં 5 ઑક્ટોબર સુધીમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે જેના કારણે સિસ્ટમ બનશે અને ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે.

હાલ જે પ્રકારે ભારે વરસાદ થઈ રહ્યો છે તે પ્રકારનો વરસાદ પડવાની શકયતા ઓછી છે. પરંતુ ગરમીના કારણે ક્યાંક અણધાર્યો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા છે, જ્યારે અન્ય ભાગોમાં પવન વધુ રહેવાની શક્યતા છે. 

આ ઉપરાંત હજુપણ હવામાનમાં ફેરફાર થતાં રહેશે. જેના લીધે શરદ પૂનમ પછી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ યથાવત્ રહેશે તેવું અનુમાન છે. શરદ પૂનમથી માંડીને દિવાળી સુધી હવામાનમાં સતત ફેરફાર થતા રહેશે જેના લીધે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 18થી 20 ઑક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં રહેશે.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પર 30-40 કિમી પ્રતિ કલાકના સાથે પવન ફૂંકાશે સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.



Google NewsGoogle News