રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક્રમ
Rahul Gandhi in Ahmedabad tomorrow : ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરવા આગામી 15મી એપ્રિલે મોડાસામાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળવાની હતી. પરંતુ આ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. મોડાસામાં જે બે દિવસનો કાર્યક્રમ હતો તે હવે એક દિવસ યોજાશે. નવા કાર્યક્રમ મુજબ એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદમાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક કરશે.
ઉલ્લેખનીય છે કે આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગુ કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે તાજેતરમાં ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. 41 પ્રમુખો નક્કી કરવા માટે AICCના 50 અને PCCના 183 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ દ્વારા ગુજરાતના જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત, જુઓ યાદી
અમે 50 ટકા અનામતની દીવાલ તોડી દઈશું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે 'તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઈએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.
પીએમ મોદી અને આરએસએસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે 50 ટકા અનામતની જે દીવાલ છે તેને અમે તોડી દઈશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઈ રહ્યા છીએ.'