'સારી કામગીરી કરનારા જિલ્લા પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન આપીશું', રાહુલ ગાંધીએ અમદાવાદમાં નિરીક્ષકો સાથે કરી બેઠક
Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે. કાલથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરુઆત થશે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર ગુજરાતના નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યારબાદ 45 દિવસમાં (31 મે સુધી) જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે.
'...તો જિલ્લા પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન આપીશું'
અમદાવાદ સર્કિટ હાઉસમાં પ્રથમ બેઠકમાં રાહુલ ગાંધીએ 40 નિરીક્ષકોને વન ટુ વન સાંભળ્યા હતા. તમામ નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, જિલ્લા પ્રમુખ માટે કોઈપણ જ્ઞાતિ કે જાતિવાદ ના રાખવો. જે પણ મજબૂત નેતા હોય તેને પ્રાથમિકતા આપવી. ભવિષ્યમાં સરકાર બને તો જિલ્લા પ્રમુખની સારી કામગીરી હશે તો તેને મંત્રીમંડળમાં સ્થાન આપીશું. કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ટકોર કરતાં કહ્યું હતું કે, 'આપણ કોમ્પિટિશન ભાજપ સાથે કરવાની છે, અંદરો અંદર કરશો નહીં. તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપાશે. યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ પ્રમોશન આપવામાં આવશે. યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને હોદ્દો આપવામાં નહીં આવે. માત્ર ચૂંટણી વખતે સક્રિય થતાં નેતાઓને ટિકિટ પણ નહીં અપાઈ. લોકોની વચ્ચે રહેનાર કાર્યકર કે નેતાઓને જ ઉમેદવાર બનાવવામાં આવશે.'
AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દેવાઈ છે અને પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે.
કાલે 'સંગઠન સૃજન અભિયાન'નો શુભારંભ
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'મને ખુશી છે કે અમારા જિલ્લા એકમોને મજબૂત બનાવવાના 'સંગઠન સૃજન અભિયાન' પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરુ થઈ રહ્યો છે. કાલે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના અરવલ્લીથી પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. રાહુલ ગાંધી જિલ્લાના નેતાઓ સાથે વાતચીત કરશે.'