વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે
Gujarat Police: વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક ફેલાવવાનો મામલો સામે આવતા ડીજીપીએ સમગ્ર ગુજરાતના માથાભારે તત્ત્વોની યાદી તૈયાર કરીને ગુનાની ગંભીરતાને આધારે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એક્ટ), પાસા (Prevention of Anti-Social Activities Act) અને તડીપારની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. જે અનુસંધાનમાં અમદાવાદ પોલીસે એક જ દિવસમાં 21 જેટલા અસામાજિક તત્ત્વોને પાસા હેઠળ ભૂજની જેલમાં મોકલી આપ્યા હતા.
આ પણ વાંચોઃ ભય, ભુખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની માત્ર વાતો પણ સ્થિતિ જુદી, વિધાનસભામાં ચર્ચા
પોલીસની કાર્યવાહી
વસ્ત્રાલની ઘટના બાદ ડીજીપીએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માથાભારે તત્ત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી. એસ મલિકે અમદાવાદના 21 જેટલા માથાભારે તત્ત્વો સામે ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને પાસા હેઠળ કચ્છની ભૂજમાં આવેલી જેલમાં મોકલી આપ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં એક જ દિવસમાં 21 જેટલી પાસા કરવાની પ્રથમ ઘટના છે. જેમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં સૌથી વઘુ સાત પાસા, ઓઢવમાં ત્રણ અને ઈસનપુર, શાહીબાગ, આનંદનગર, બોડકદેવ, સોલા, નિકોલ, શાહપુર, નરોડા, નારોલ અને ડીસીપી પોલીસ સ્ટેશનમાંથી એક-એક આરોપીનો સમાવેશ થાય છે.
આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર ફરશે બુલડોઝર
આ પણ વાંચોઃ પિતાની લોન ભરપાઈની જવાબદારીથી છટકવા માગતા પુત્રની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી
શું હતો મામલો?
અમદાવાદમાં હોળી (13 માર્ચ)ની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.