અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની જાય એ દિવસો દૂર નથી, પાંજરાપોળ ફલાયઓવર બ્રિજના વિવાદમાં હાઇકોર્ટની ટિપ્પણી

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Panjarapol cross road


Ahmedabad: શહેરના પાંજરાપોળ ક્રોસ રોડથી આઇઆઇએમ, અમદાવાદ સુધી અમ્યુકો દ્વારા સૂચિત ફલાયઓવર બ્રિજના વિવાદમાં આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજી દાખલ થઈ છે. જેની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગ્રીન કવર લગભગ ખતમ થવા પર છે અને એ દિવસો દૂર નથી કે જ્યારે અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની ગયું હશે. 

હાઇકોર્ટે ટ્રાફિક અને વધતા જતાં અક્સ્માતોને લઈને ગંભીર ચિંતા વ્યકત કરી

હાઇકોર્ટે ટ્રાફિકની અને વધતા જતાં અક્સ્માતોને લઈને પણ ગંભીર ચિંતા વ્યકત કરી હતી. હાઇકોર્ટે આ જાહેરહિતની રિટને ગ્રાહ્ય રાખતાં એટલે સુધી કહ્યું હતું કે, અદાલત ઇચ્છતી હતી કે, કોર્ટ સમક્ષ કોઈ આવે...ખાસ કરીને આ રસ્તાઓ માટે કારણ કે, એસજી હાઇવે પરથી શહેરમાં જવાના જે જે રસ્તાઓ છે, તે બહુ ભયાનક છે. કોઈપણ ફલાયઓવર કે ક્રોસરોડનું આયોજન શહેરના બંધારણને ઘ્યાનમાં રાખીને થવું જોઈએ, આડેધડ નહીં. 

જરૂરી સુધારો કરવા અરજદારપક્ષને નિર્દેશ

હાઇકોર્ટે વૃક્ષછેદન, ટ્રાફિકની સમસ્યા, અકસ્માત, હેલ્મેટ સહિતના અન્ય મુદ્દાઓને પણ અરજીમાં આવરી લઈ જરૂરી સુધારો કરવા પણ અરજદારપક્ષને નિર્દેશ કર્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની પિટિશનની એડવોન્સ કોપી આપવા નિર્દેશ કર્યો હતો. આ વિસ્તારના 20 જેટલા સ્થાનિક રહીશો દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં સિનિયર ઍડ્વોકેટ મીહિર ઠાકોર દ્વારા એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડથી આઇઆઇએમ સુધી વઘુ એક ફલાયઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે પરંતુ વાસ્તવમાં આ બ્રિજની કોઈ જરૂરિયાત જ નથી. 

આ પણ વાંચો: સરકારે ફી કમિટીઓ રચી પણ સ્કૂલોની નવી ફી નક્કી કરવામાં લાંબો વિલંબ થશે : વાલીઓને નુકસાન

એક બ્રિજ પહેલેથી જ હોવાથી નવા ફલાયઓવરની કોઈ જરૂરિયાત નથી

વળી, 275 મીટરના અંતરે એક બ્રિજ પહેલેથી જ છે, તેથી આ નવા ફલાયઓવરની કોઈ જરૂરિયાત નથી. બીજું, કે અમ્યુકો સત્તાવાળા દ્વારા આ સૂચિત ફલાયઓવરને લઈને આ વિસ્તારના વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોને આડેધડ રીતે કાપવા જઈ રહ્યા છે. જેમાં ચારથી વઘુ મોટા અને જૂના વૃક્ષો કાપી પણ નાખ્યા છે, જેને લઈ સ્થાનિક રહીશોએ અને આ રોડ પરથી અવરજવર કરતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી પ્રસરી છે. 

આ સમગ્ર રોડવાળો વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના અને મોટા ઘટાદાર વૃક્ષોના ગ્રીન કવરથી એકદમ હરિયાળો છે અને અમ્યુકો વિકાસના ઓઠા હેઠળ વર્ષો જૂના વૃક્ષોના ગ્રીન કવર અને હરિયાળી ક્રાંતિનું નિકંદન કાઢવા માંગે છે, જે કોઈપણ સંજોગોમાં યોગ્ય કે વાજબી નથી. 

બ્રિજ બનશે તો એક જ રોડ પર બે ફલાયઓવર બનશે

અરજદારપક્ષ તરફથી વઘુમાં જણાવાયું કે, એક જ રોડ પર બે ફલાયઓવર થવાથી આ બ્રિજને લઈ ટ્રાફિક ઘટવાના બદલે ઉપરથી વધશે. કારણ કે, તેનાથી રસ્તાઓ વઘુ સાંકડા બનશે. પહેલેથી અંધજન મંડળ આઇઆઇએમથી વસ્ત્રાપુરને જોડતો ઓવરબ્રિજ છે જ. જો બ્રિજ બનશે તો એક જ રોડ પર બે ફલાયઓવર બનશે.

આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીની માત્ર વાતો! ગુજરાતમાં વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો વપરાશ, રિપોર્ટમાં ખુલાસો

આ રોડ પર છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિક ઘટ્યો છે

વાસ્તવમાં આ રોડ પર છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિક ઘટ્યો છે, 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે. અરજદારપક્ષ તરફથી કોઈપણ સંજોગોમાં આ વિસ્તારના જૂના, મોટા અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન અટકાવવા અને ત્યાં સુધી ફલાયઓવર બ્રિજના નિર્માણકાર્ય સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવા દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારપક્ષને સાંભળ્યા બાદ કેસની વઘુ સુનાવણી આવતા સોમવારે રાખી હતી. 

અમદાવાદમાં 2011થી 48 ટકા ગ્રીન કવર ઘટ્યું...

અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો કે, સમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછું છે. વર્ષ 2011માં 17.96 સ્કવેર કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 સ્કવેર કિ.મી ગ્રીન કવર બચ્યું છે. આમ, 2011થી લઈ અત્યારસુધીમાં અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટ્યું છે, જે બહુ આઘાતજનક કહી શકાય. અમદાવાદની સરખામણીએ બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ગ્રીન કવર વઘુ છે. 

આ પણ વાંચો: નડિયાદમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું

રણજીત બિલ્ડકોન કંપની અનેક વિવાદોમાં સપડાયેલી છે

અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ઘ્યાન દોરાયું હતું કે, અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા 652 મીટર લાંબો આ બ્રિજ બનાવવા માટે રણજીત બિલ્ડકોન કંપનીને કામ સોંપવામાં આવ્યું છે પરંતુ નોંધનીય વાત એ છે કે, રણજીત બિલ્ડકોન કંપની દ્વારા બનાવાયેલા બે બ્રિજ અગાઉ પડી ચૂક્યા છે અને તે સિવાય પણ અનેક વિવાદોમાં કંપની સપડાયેલી છે, તેમ છતાં અમ્યુકોએ આવી વિવાદમાં સપડાયેલી કંપનીને કામ આપ્યું છે. 

અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની જાય એ દિવસો દૂર નથી, પાંજરાપોળ ફલાયઓવર બ્રિજના વિવાદમાં હાઇકોર્ટની ટિપ્પણી 2 - image


Google NewsGoogle News