Get The App

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: આરોપી ઘરમાં જ કટ્ટા બનાવીને વેચતો હતો? બુટલેગર પણ હતો

Updated: Dec 21st, 2024

GS TEAM


Google News
Google News
Ahmedabad Parcel bomb blast


Parcel bomb blast in Sabarmati : આજે વહેલી સવારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અંગત અદાવતનું વેર રાખી પાર્સલમાં બેટરી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં વધુ મોટો ખુલાસો થયો છે. 

આરોપી રૂપેન બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. રૂપેન બારોટ દારૂનો ધંધો કરે છે અને તે બુટલેગર છે. આ ઉપરાંત પોલીસને શંકા છે કે રૂપેન પોતાના ઘરે દેશી કટ્ટા બનાવીને વેચતો હતો, તેમજ તેણે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે અને આગળ બીજા અન્ય મોટા ખુલાસા થવાની આશંકા છે. 

શું હતી ઘટના ? 

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈના કાકાનો દીકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતાં લોહી લુહાણ થયા હતા. પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે.

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: આરોપી ઘરમાં જ કટ્ટા બનાવીને વેચતો હતો? બુટલેગર પણ હતો 2 - image

પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત, 1ની ધરપકડ

અંગત વેર રાખી કરાયો બ્લાસ્ટ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રૂપેન બારોટે હાઈકોર્ટના ક્લાર્ક બલદેવ સુખડિયા સામે અંગત વેર રાખી બ્લાસ્ટ કરાયો હતો. રૂપેને બલદેવ સુખડિયાને તેની પત્ની હેતલ સાથે ચાલી રહેલી છૂટાછેડાની કાર્યવાહી માટે જવાબદાર ઠેરવ્યા હતા. રૂપેનની પત્ની બલદેવના માર્ગદર્શન હેઠળ વકીલ તરીકેની તાલીમ લઈ રહી હતી. જે દરમિયાન હેતલે અગાઉ બલદેવ સાથે વ્યાવસાયિક સંબંધ કેળવ્યો હતો. જેનો બદલો લેવા માટે, રૂપેને કથિત રીતે ઘરે બોમ્બ બનાવ્યો હતો અને તેને પહોંચાડવા માટે એક પરિચિતને કામ સોંપ્યો હતો.

પોલીસ તપાસમાં થયા ખુલાસા

વિસ્ફોટની ઘટના બાદ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. જે પછી પીડિત બલદેવે છૂટાછેડા સંબંધિત તેને અગાઉ મળેલી ધમકીઓને ટાંકીને શંકાસ્પદ તરીકે રૂપેન બારોટનું નામ આપ્યું હતું. જે બાદ પોલીસની ટીમે ગોદાવરી એપાર્ટમેન્ટ્સ, ચાંદખેડામાં રહેતા રૂપેનના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન રૂપેનના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી, ત્રણ દેશી કટ્ટા સહિતના પુરાવા મળી આવ્યા હતા. 

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: આરોપી ઘરમાં જ કટ્ટા બનાવીને વેચતો હતો? બુટલેગર પણ હતો 3 - image

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, રૂપેન ઘરે સિંગલ-શોટ દેશી બનાવટની પિસ્તોલ બનાવવાનું કામ કરતો હતો. જપ્ત કરાયેલી પિસ્તોલ તેના દ્વારા જ બનાવવામાં આવી હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસને શંકા છે કે રૂપેન આ હથિયારો ઘરે બનાવીને વેચતો હતો.

ગેરકાયદે દારૂના વેપારમાં સંડોવણી

પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રૂપેન અને તેના સાથીઓએ રાજસ્થાનમાંથી ગેરકાયદે દારૂ (IMFL) ની દાણચોરી કરી હતી, જેને તેઓ વેચતા હતા. તેમના મફત સમય દરમિયાન, તેઓએ કથિત રીતે એપ-આધારિત ટ્રાન્સપોર્ટ પ્લેટફોર્મ (રેપિડો) દ્વારા ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પૂરી પાડી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે બુલડોઝરવાળી, ગેરકાયદે મકાનો ધ્વસ્ત

બોમ્બ બનાવવામાં કોઇ નિષ્ણાતની મદદની શંકા

બોમ્બની અત્યાધુનિક ડિઝાઈન જેમાં કાચ, રેઝર બ્લેડ અને બોલ બેરિંગ્સના કટકાઓ છે તેના કારણે પોલીસને શંકા છે કે રૂપેનને બોમ્બ બનાવવામાં કોઇ નિષ્ણાતે સહાય કરી હતી. તપાસકર્તાઓનું માનવું છે કે અગાઉની જેલની સજા ભોગવતી વખતે રૂપેને આવા કોઇ નિષ્ણાત વ્યક્તિ સાથે ઓળખાણ બનાવી હોઈ શકે છે.

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: આરોપી ઘરમાં જ કટ્ટા બનાવીને વેચતો હતો? બુટલેગર પણ હતો 4 - image

પાર્સલ લાવનારની પૂછપરછ કરી

ઘાયલ પાર્સલ લાવનાર વ્યક્તિ ગૌરવ ગઢવી તરીકે ઓળખાય છે, તેણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે, તેને રૂપેનના સહયોગી, રોહન રાવલે આ કામ સોંપ્યો હતો. ગૌરવ, જેણે અગાઉ ઓએનજીસીમાં નોકરી ગુમાવી દીધી હતી અને હવે ગેરેજમાં કામ કરે છે, તેને પાર્સલ પહોંચાડવા માટે નોંધપાત્ર ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હતું. ડિલિવરી વખતે રૂપેન અને રોહન નજીકની રિક્ષામાંથી નજર રાખી રહ્યા હતા. જે પછી પાર્સલ બલદેવ સુધી પહોંચી ગયું હોવાનું માનીને રૂપેને બોમ્બને રિમોટથી બ્લાસ્ટ કર્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

રૂપેન બારોટ ગુનાહિત પ્રવૃત્તિનો ઈતિહાસ ધરાવે છે, જેમાં જુગાર અને પ્રતિબંધના ઉલ્લંઘનને લગતા બહુવિધ કેસોનો સમાવેશ થાય છે. તે અગાઉ પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (PASA) એક્ટ હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. બારોટ ભૂતકાળમાં ડુપ્લીકેટ IMFL મેન્યુફેકટીંગ કેસમાં પણ સંડોવાયેલો હતો અને આ મામલે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. પોલીસે જણાવ્યું કે, જો બોમ્બ બલદેવના ઘરમાં ફાટ્યો હોત તો તેમાં નોંધપાત્ર જાનહાનિ થઈ હોત. હાલ ક્રાઈમ બ્રાન્ચ રૂપેનના કનેક્શન, તેના ગુનાહિત નેટવર્ક અને વિસ્ફોટક સામગ્રીના સ્ત્રોતની સક્રિયપણે તપાસ કરી રહી છે.

બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગની આશંકા

પોલીસને આશંકા છે કે બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરાયો હતો. જેમાં કથિત રીતે જ્વલનશીલ પદાર્થો જેવા કે સ્પિરિટ, બેટરી અને ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ની ટીમે બ્લાસ્ટમાં કયા મટિરિયલનો ઉપયોગ કરાયો છે તે જાણવા માટે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે.

Tags :