અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર વિભાગ રામ ભરોસે! ફાયર ઓફિસરનો ચાર્જ સાંભળવા અધિકારીઓનો ઈનકાર

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર વિભાગ રામ ભરોસે! ફાયર ઓફિસરનો ચાર્જ સાંભળવા અધિકારીઓનો ઈનકાર 1 - image


Rajkot Fire Department: અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં ઉથલપાથલ યથાવત છે. રાજકોટ ફાયર વિભાગમાંથી વધુ એક ઉચ્ચ અધિકારીએ રાજીનામું આપી દીધું છે. મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ રાજીનામું આપી દીધું છે. જોકે, TRP અગ્નિકાંડ બાદ ફાયર ઓફિસરનો ચાર્જ સાંભળવા કોઈ તૈયાર નથી. મનપામાં અત્યાર સુધી એક પછી એક 15 જેટલાં અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે.

રાજકોટનો ફાયર વિભાગ રામ ભરોસે

અધિકારીઓના રાજીનામાના કારણે રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ રામભરોસે ચાલી રહ્યો છે. RMCના ફાયર વિભાગનો ચાર્જ સંભાળવા કોઈ તૈયાર નથી. જામનગર અને અમદાવાદના ફાયર અધિકારીએ પણ રાજકોટની જવાબદારી સ્વીકારવાની ના પાડી છે અને હવે રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે પણ રાજીનામું આપી દીધું છે. 

આ પણ વાંચોઃ દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી આચાર્ય સામે 1,700 પાનાની ચાર્જશીટ ફાઈલ, 65 ટેસ્ટ બનશે મહત્ત્વના પુરાવા

પારિવારિક પ્રશ્નોને કારણે રાજીનામું આપ્યું 

રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું આપતાં, પત્રમાં લખ્યું કે, 'હું મારા પારિવારિક પ્રશ્નોને કારણે રાજીનામું આપું છું. મને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારી થઈ ગઈ છે. વર્કલોડ વધુ હોવાને કારણે પણ તણાવ રહે છે. ફાયર બ્રિગેડમાં સ્ટાફનો અભાવ હોવાના કારણે કામનું ભારણ વધી જાય છે. સ્ટાફમાં મંજૂરી કરતાં 25 થી 30 ટકા માણસો અને ફાયર સેફ્ટીના સાધનોની પણ ઘટ છે. હું કોઈ રાજકીય દબાણથી નહીં પણ મારા પારિવારિક કારણોથી રાજીનામું આપી રહ્યો છું.'

આ પણ વાંચોઃ 'દુષ્કર્મીઓનું સરઘસ કેમ નથી કાઢવામાં આવતું...' ગુજરાત પોલીસના બેવડાં વલણ પણ સવાલ ઊઠ્યાં

અમદાવાદ-જામનગરના અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાનો કર્યો ઈનકાર

જોકે, હવે રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. વર્ગ ત્રણના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારનાર અમિત દવેએ પણ જવાબદારીમાંથી મુક્તિ માંગી છે. જામનગર અને અમદાવાદના ફાયર અધિકારીઓએ પણ રાજકોટની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. આ પહેલાં અમદાવાદના ફાયર અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ ફાયરના અધિકારી પણ રાજકોટ આવવા તૈયાર નથી.

રાજીનામાનો દોર યથાવત 

નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ પછી મનપામાં રાજીનામા આપવાનો સિસલિસો યથાવત રહ્યો છે. ટીપી શાખાના બે ઈજનેરોએ રાજીનામા આપવા માટે અરજી કરી હતી. બંને ઈજનેર નીતિન રામાવત અને આર.જી પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. આ બંને ઈજનેરોની થોડા સમય પહેલાં જ ટીપી શાખામાં બદલી કરવામાં આવી હતી.


Google NewsGoogle News