'નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો.....', નીતિન પટેલની કટાક્ષબાજી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Nitin Patel during gujarat budget in Gandhinagar
Image : IANS (File pic)




Gujarat Politics: લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઇને ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય કટાક્ષ કરતા નિવેદનોની હોડ જામી છે. મહેસાણામાં એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ભાજપના કાર્યકરો (BJP Workers)ને રેસના ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી કટાક્ષ કર્યો હતો. તો કોંગ્રેસે (Congress) વળતો પ્રહાર કરી ભાજપના નેતાઓને રિમોટથી ચાલતાં ઘોડા ગણાવી ઠેકડી ઉડાવી રહ્યા છે. 

નીતિન પટેલે રાજકીય કટાક્ષ કર્યો

એકાદ દિવસ પહેલાં કડીના કાર્યકરને ધમકી આપતાં ઓડિયો વાયરલ થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા હતા. મહેસાણા (Mehsana)માં ભાજપના સાંસદ હરિભાઇ પટેલ (MP Haribhai Patel)ના અભિવાદન સમારોહમાં નીતિન પટેલે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનને લઇને વ્યંગ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી પાસે માત્રને માત્ર રેસના જ ઘોડા છે. જો કોઇના ઘરે લગ્ન હોય અને નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો હોય, તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો. નાચતો ઘોડો આવી જશે. નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓની જાહેરમાં ફિરકી ઉતારતાં આ સમારંભમાં તાળીઓ ગૂંજી ઉઠી હતી. 

ભાજપ-કોંગ્રેસની રાજકીય નિવેદનબાજી 

જો કે નીતિન પટેલની કટાક્ષબાજીને પગલે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ એવી રમૂજભરી પ્રતિક્રિયા આપી છે કે, આજે ભાજપમાં નીતિનકાકાને કોરાણે મૂકાયા છે એટલે વ્યથા બહાર કાઢી રહ્યા છે. ખુદ નીતિનકાકાએ મૂળ કોંગ્રેસીઓને મંત્રી સાહેબ કહીને નમસ્તે કહેવું પડે છે. મારો સવાલ છે કે, ભાજપમાં હાંસિયામાં ધકેલાયાં નેતાઓ લગ્ન કે રેસમાં ય કામે લાગે એમ નથી? શા માટે કોંગ્રેસના ઘોડાઓને ભાજપમાં લઇ ગયાં? આ ઉપરાંત કોંગ્રેસના યુવા નેતા અમિત નાયકે તો ટિ્‌વટ કર્યું છે કે, રિમોટથી ચાલતા ઘોડા જોઇએ તો કમલમમાં એટલે કે ભાજપ કાર્યાલયમાં જઈને મળો. આમ, લગ્નના ઘોડા, રેસના ઘોડા અને રિમોટથી ચાલતા ઘોડાને લઇને ભાજપ-કોંગ્રેસમાં રાજકીય નિવેદનબાજી જામી છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું? 

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ઈન્ડિ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે. હવે કોંગ્રેસ મજબૂત ચહેરા પર દાવ લગાવશે. ઘોડા બે પ્રકારના હોય છે. એક રેસના અને બીજા વરઘોડાના. કોંગ્રેસ અત્યાર સુધી વરઘોડાના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને વરઘોડામાં ઉતારતી હતી, પરંતુ હવે પાર્ટી આવી ભૂલ નહીં કરે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ આ કટાક્ષબાજી શરૂ થઇ છે.

આ પણ વાંચો :

આજે ‘વિશ્વ સાપ દિવસ’ : ગુજરાતમાં દર મહિને 505થી વઘુ વ્યક્તિને કરડે છે સાપ

ગુજરાતમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

વિકાસના નામે વિનાશ નીતિ? 20 લાખ વૃક્ષોનું નિકંદન કઢાશે

3 મહિનાથી 107 નગરપાલિકાના કર્મચારીઓને પગાર નથી ચૂકવાયો

'નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો.....', નીતિન પટેલની કટાક્ષબાજી 2 - image


Google NewsGoogle News