નવસારીમાં દંપતિના ઝઘડા વચ્ચે એક માસૂમનો જીવ લેવાયો, પિતાએ બાળકને આઠમા માળેથી નીચે ફેંકી કરી આત્મહત્યા
ઘટના બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો
Navsari : નવસારીમાં એક ક્રૂર ઘટના સામે આવી છે. શહેરના એક દંપતિના ઝઘડા વચ્ચે એક માસૂમ બાળક ભોગ બન્યું છે. નવસારી જુનાથાના સરકારી વસાહતમાં રહેતા યુવાને પત્ની સાથે પોતાના બાળકને લઇ જવા બાબતે ઝઘડો થતા, પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને આઠમાં માળેથી ફેંકી દઈ હત્યા કરી હતી અને આ ઘટના બાદ યુવકે પણ ખુદ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો.
નવસારી શહેરમાં બની ક્રૂર ઘટના
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ પ્રકારની ક્રૂર ઘટના બની હતી. દંપતિના ઝઘડા વચ્ચે એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. મૃતક બાળકની ઓળખ દ્વિજ ગોસ્વામી છે, જયારે તેના પિતા રાકેશ ગોસ્વામી કે જે વ્યવસાયે મજૂરી કામ કરતો હતો. દંપતિ ઝઘડાના કારણે 9 માસથી જુદા રહેતા હતા. અલગ રહેતા દંપતિનો ઝઘડો આ વખતે બાળકને પોતાની સાથે લઇ જવા બાબતે થયો હતો. ત્યારબાદ પતિ પોતાના બાળકને લઇને સરકારી વસાહતની બિલ્ડીંગના આઠમા માળે ચઢી ગયો, આ દરમિયાન પોલીસ અને ફાયર જવાનોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બાળકને નીચે ફેંકી દીધુ અને ત્યારપછી ખુદ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં પોલીસે બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.