Get The App

પ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન, 90 વર્ષની ઉંમરે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
પ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન, 90 વર્ષની ઉંમરે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ 1 - image


Purushottam Upadhyay has Passed Away: પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન થયું છે. 90 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્યના સ્વરકાર અને ગાયક હતા. તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમના નિધનથી શોકનો માહોલ છવાયો છે.

તેમણે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. તેમણે કરેલા ગુજરાતી ગીતોના સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવા આલા દરજ્જાના ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.

કોણ હતા પુરુષોત્તમ ઉપાધ્યાય?

પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઑગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. તેમને 2017માં 'પદ્મશ્રી' ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીતકાર હતા. નાનપણથી તેમને સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ હતો. તેની સાથે ગાવાના શોખનો ઉમેરો થયો. શાલેય શિક્ષણ દરમિયાન ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા હતા, પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતાં ફરી વતન તરફ મીટ માંડી. તેમણે નાટક-કંપનીઓમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવવાની શરુઆત કરી હતી.

જોગાનુજોગ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ મુલાકાતથી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવનમાં નવો વળાંક આવ્યો. થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ ગયા હતા. ત્યાં તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું હતું. નસીબની બલિહારી કે તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવી હસ્તીઓ તેમના અંગત પરિચયમાં આવી હતી.

માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈ કેન્દ્ર પર ગાવાનો કરાર કર્યો હતો. આ ઉપરાંત, મુંબઈની જાણીતી શિક્ષણ-સંસ્થા ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસની રાહબરી હેઠળ સંગીત-કાર્યક્રમોનું સંચાલન કરવાની તક મળી હતી. સાથોસાથ પોતાની સંગીતકલાને વધુ ધારદાર અને શાસ્ત્રશુદ્ધ બનાવવાના હેતુથી ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાની શરુઆત કરી હતી.

અવિનાશ વ્યાસ જ્યારે જ્યારે પરદેશ જતાં ત્યારે ત્યારે ભારતીય વિદ્યાભવનના સંગીતના તેમના વર્ગોનું સંચાલન કરવાની તક પુરુષોત્તમભાઈને મળવા લાગી હતી. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર એકલ કાર્યક્રમો ઠેર ઠેર દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા હતા.

ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ ખ્યાતિ ધરાવતા હતા. ચલચિત્રજગતની સુવિખ્યાત સ્વરનિયોજક બેલડી કલ્યાણજી–આણંદજીની સંગતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય પણ સ્વરનિયોજન કરવા લાગ્યા. તેમના સ્વરનિયોજન હેઠળ દેશના સુવિખ્યાત પાર્શ્વગાયકો સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર, આશા ભોંસલે અને મહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિનાં ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. ગુજરાતી સુગમ સંગીતમાં પુરુષોત્તમભાઈના સ્વરનિયોજન હેઠળ જે કલાકારોએ પોતાનો કંઠ આપ્યો છે તેમાં હંસા દવે અગ્રક્રમ ધરાવે છે. ગુજરાતી સુગમ સંગીતની ઊગતી પેઢી પુરુષોત્તમ ઉપાધ્યાયને અનૌપચારિક રીતે પોતાના ગુરુ માને છે.


Google NewsGoogle News