મ્યુનિ.વિપક્ષનેતાનો આક્ષેપ , ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટના નામે ૫૫ અસરગ્રસ્તોને બેઘર કરાયા
સમગ્ર મામલો સબજયુડીસ હોવાનો મ્યુનિ.તંત્ર દ્વારા બચાવ કરાયો
અમદાવાદ,બુધવાર,4 ઓકટોબર,2023
અમદાવાદમાં આવેલા ગાંધીઆશ્રમને ડેવલપ કરવાના નામે ૫૫
અસરગ્રસ્તોને વૈક્લપિક વ્યવસ્થા આપ્યા વિના બેઘર કરી દેવામાં આવ્યા હોવાનો
મ્યુનિસિપલ વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.આ મામલો હાલ હાઈકોર્ટમાં સબજયુડીસ હોવાનો
મ્યુનિસિપલ તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.
રુપિયા ૨૫૦ કરોડના ખર્ચે ગાંધીઆશ્રમ એરિયા ડેવલપ કરવામાં
આવી રહયો છે.મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ, ગાંધી આશ્રમ
ડેવલપમેન્ટ કરવાના બહાના હેઠળ ૪૦ વર્ષથી રહેતા ગરીબ અને પછાતવર્ગના ઘર ઉપર બુલડોઝર
ફેરવી તેમને રોડ ઉપર રહેવા મજબુર કરી દેવામાં આવ્યા છે.એપ્રિલ-૨૦૨૩માં બે દિવસ
પહેલા નોટિસ આપવામા આવી હતી.એ સમયે અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવા
તંત્રને રજુઆત કરતા તંત્ર તરફથી તેમને મકાન આપીશું એવી ખોટી હૈયાધારણ આપી રાતોરાત
તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ.ઘર છીનવી એકસાથે ૨૫૦ થી પણ
વધુલોકોનું જીવન તંત્રે નર્કસમાન બનાવી દીધુ છે.અસરગ્રસ્તો પૈકી પચાસ ટકાથી વધુ
લોકો રેનબસેરામાં જીવન વીતાવી રહયા છે.બાકીના અન્ય સ્થળોએ રહેવા મજબુર બન્યા છે.આ
સ્થિતિમાં તમામ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં
આવી છે.કોંગ્રેસના આક્ષેપ સામે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
આઈ.કે.પટેલે આ મામલો હાઈકોર્ટમાં હોવાની પ્રતિક્રીયા આપી છે.અસરગ્રસ્તોના કહેવા
મુજબ,અમારી
પાસે પુરતા પુરાવા છે.અમને મકાન મળવુ જોઈએ.