અમદાવાદ મ્યુનિ. હસ્તકના સ્મશાનમાં QR કૉડ લગાવાયા, મરણ નોંધણી સરળ બનશે
AMC Crematorium : અમદાવાદ મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા છે. QR કૉડની મદદથી મૃતકના સગા -સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયુ હોય એ વોર્ડની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો મરણની નોંધ સરળતાથી થઈ શકશે.
ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયુ હોય એ વોર્ડની ઓફિસમાં જમા કરાવવુ પડશે
મ્યુનિ.હદમાં જે મૃત્યુ થયુ હોય એની નોંધ મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તે સંજોગોમાં જે તે હોસ્પિટલ દ્વારા મ્યુનિ.તંત્રને વિગત મોકલાતી હોય છે.પરંતુ જેઓના ઘરે મૃત્યુ થયુ હોય તેમના સગા-સંબંધીઓને અત્યાર સુધી મરણની નોંધ કરાવવા વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી ફરી મરણ નોંધણી કરાવવા જવુ પડતુ હતુ.આ પ્રક્રીયા સરળ બનાવવા મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા છે.
જેના આધારે મૃતકના સગા સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી જરુરી વિગત ભરી જરુરી આધાર પુરાવા સાથે જે વોર્ડમાં મરણ થયુ હોય એ વોર્ડમાં આવેલી જન્મ-મરણની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો સરળતાથી મરણ નોંધ થઈ શકશે. મૃત્યુની નોંધ 21 દિવસની અંદર જે તે વોર્ડની ઓફિસ ખાતે થઈ શકશે. 21 દિવસથી 1 વર્ષ સુધીમાં નોંધણી કરાવવા માટે જન્મ-મરણ વિભાગની હેડ ઓફિસ ખાતે નોંધણી થઈ શકશે.