સાબરડેરીનું બોગસ લેબલ લગાવીને મોહિની કેટરર્સે અંબાજીમાં મોહનથાળ બનાવવા નકલી ઘી પધરાવ્યુ
સાબરડેરીએ મોહિની કેટરર્સ સામે અંબાજી પોલીસમાં 30 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવી પણ મામલો આજે બહાર આવ્યો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાબર ડેરીને નકલી ઘી બાબતે નોટીસ આપી હતી જેને લઈને સાબર ડેરી અને GCMMFએ સ્પષ્ટતા કરી
અંબાજીઃ (ambaji)યાત્રાધામ અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ ફેઈલ જતાં મંદિરમાં ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં અખાદ્ય ઘીનો ઉપયોગ કરાયો હોવાનો ભાંડો ફૂટ્યો છે.(Mohini caterers)ત્યારે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ તૈયાર કરતી એજન્સી મોહિની કેટરર્સ (Sabar dairy) સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. (duplicate ghee)આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડના માર્કાનું ડુપ્લીકેટ લેબલ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને મંદિર ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરી છે. તે ઉપરાંત ઘી (mohanthal prasad) અખાદ્ય હોવા છતાં તેનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. આ મામલો આજે પ્રકાશમાં આવ્યો છે પરંતુ તેની ફરિયાદ ગત 30મી સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
સાબરડેરી તરફથી મોહિની કેટરર્સ સામે ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબર ડેરીના લેબોરેટરી વિભાગમાં નોકરી કરતાં જિજ્ઞેશ પટેલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, પાલનપુર સર્કલના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તરફથી અખાદ્ય ઘી અંગેની નોટીસ મળી હતી. આ નોટીસનો જવાબ રજૂ કરતાં ફૂડ વિભાગને જણાવ્યું હતું કે, આ ઘીનું ઉત્પાદન કે વેચાણ સાબર ડેરી દ્વારા થયું નથી. ઘી ના ડબ્બા પર જે બેચ નંબર લખવામાં આવ્યો છે તે અમારી ડેરીની પદ્ધતિ દ્વારા લખવામાં આવ્યો નથી. તે ઉપરાંત ડબ્બા પર લગાવવામાં આવેલા લેબલ પણ અમારી ડેરી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નથી. ઘીનું પેકિંગ કરવા માટેના ટીન પણ જીસીએમએમએફના ધારાધોરણો મુજબ નક્કી કરવામાં આવેલા સપ્લાયર્સને ત્યાંથી જ ખરીદ કરવામાં આવે છે. અમારી ડેરી દ્વારા ઘી પેક કરવા માટે જે ડબ્બા વપરાય છે તે આ ચેકીંગ દરમ્યાન પકડવામાં આવેલ ડબ્બા નથી. પ્રોડકટનું વર્ણન સાબરડેરી દ્વારા ઈજેટ પ્રીન્ટીંગથી કરવામાં આવે છે. જયારે ફુડ ઈન્સ્પેકટર દ્વારા પકડવામાં આવેલ ઘીના ડબ્બા ઉપર પ્રોડકટનું વિવરણ ઈન્કજેટ પ્રીન્ટીંગથી કરવામાં આવેલ નથી.
સમગ્ર બાબતે શું કહે છે GCMMF
આ અંગે જીસીએમએમએફ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો અમારા ધ્યાનમાં આવ્યાં છે. આ ગંભીર બાબત અંગે હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા 15 કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (સાબર ડેરી)ના બનાવટી લેબલ લગાવાયા હતાં. ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ ઉપર છાપવામાં આવેલ બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ નથી.
અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તા વાળું જ છે
સાબર ડેરીએ 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં, મોહિની કેટરર્સ અને અન્ય અજાણ્યા શખ્સો સામે હલકી ગુણવત્તાવાળા ઘીના પુરવઠો પૂરો પાડવા તથા તેને અમૂલ ઘી તરીકે ખોટી રીતે રજૂ કરવાના મામલે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે. મંદિરને ઉતરતી ગુણવત્તાયુક્ત ઘીનો પુરવઠો પાડવાના મામલે જીસીએમએમએફની કોઈ પણ પ્રકારે સંડોવણી નથી. આ બાબતે અમૂલ ફેડરેશનના એમડી જયેન મહેતાએ જણાવ્યું હતું કે અમૂલનો કોઈ પણ સંધ આવા પ્રકારના કાર્યમાં સામેલ નથી તથા બજારમાં મળતું અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તા વાળું જ છે.