અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં લાગી વિકરાળ આગ, ફાયર જવાનોએ મહામહેનતે આગ પર મેળવ્યો કાબૂ
Major Fire Breaks Out at Ahmedabad: આજે (15 ફેબ્રુઆરી, 2025) અમદાવાદ શહેરના પ્રહલાદ નગર ગાર્ડન નજીકના વિસ્તારમાં એક પ્લાન્ટમાં વિકરાળ આગ લાગી હતી. અહીં એક ભંગારના ગોડાઉન, રહેઠાણ અને આરઓ પ્લાન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમ સમય સૂચકતા વાપરી ઝડપી ઘટના સ્થળ પર પહોંચતા દુર્ઘટના ટળી હતી. ભંગારનું ગોડાઉન સળગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને બપોરે લગભગ 3:30 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યો હતો, જેના કારણે DO 3 પ્રહલાદનગર ફાયર સ્ટેશન તરફથી તાત્કાલિક મદદ મળી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી.
10 ફાયરના વાહનોએ આગ બુઝાવવા જહેમત કરી
કુલ 10 ફાયર વાહનો ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા હતા. જેમાં 1 મીની ફાઇટર, 6 વોટર બોઝર અને 3 બોલેરોનો સમાવેશ થાય છે. આગ બુઝાવવા માટે અંદાજિત 1.50 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક અંદાજ અનુસાર, AUDA ગાર્ડનની સામે આર્યવ્રત બંગલાની પાછળ આવેલા બે ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જે આગ બાજુના રહેઠાણ અને આરઓ પ્લાન્ટ ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી.
ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પ્રસરી હતી
ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભંગારના ગોડાઉનમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આગ વધુ તીવ્ર બની હતી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓને શંકા છે કે આગ સ્થળ પર હાજર જ્વલનશીલ પ્રવાહીને કારણે લાગી હશે.
જો કે, આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવી લેવાયો હતો. ચોક્કસ કારણ નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી સલામતીના પગલાં અમલમાં મૂકવામાં આવે તેની ખાતરી કરવા માટે તપાસ ચાલુ છે.