સોલાર પાવર કીટની ખરીદીમાં સહાય આપતી યોજનાના બજેટમાં અઢી ગણો વધારો,33 હજાર ખેડૂતોને મળશે લાભ
આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે
અમદાવાદઃ (gujarat govt)રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.(solar power kit)ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં 350 કરોડ અને સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટની ખરીદીમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. (farmers get benefit) ખેડૂતોના પાકને રક્ષણ આપવા માટે કુલ 400 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે.
યોજના 20 કરોડની જોગવાઈ સાથે અમલમાં મૂકવામાં આવી હતી
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વન્ય અને રખડતા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના 18 વર્ષથી અમલમાં છે.પરંતુ રક્ષિત વાડ માટે વ્યક્તિગત ધોરણે કામગીરી કરવી હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ 2022-23માં વૈકલ્પિક યોજના સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના 20 કરોડની જોગવાઈ સાથે અમલમાં મૂકવામાં આવી હતી. ચાલુ વર્ષે આ યોજના માટે બજેટમાં 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મળશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજનાના બજેટમાં અઢી ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં 13 હજાર ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33 હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.