ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી 1 - image


Navratri Garba : સનાતન ધર્મીઓ એટલે કે હિંદુઓ માટે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અને હવે તો વિવિધ પાર્ટીઓ બોલાવીને માના ગરબા રમવામાં આવે છે. ત્યારે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે.

હકીકતમાં આજે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ ઈરાન- ઈઝરાયલ યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત ફરી ના ફરી શકતા આજનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે આગામી 14 ઓક્ટોમ્બરના રોજ યોજાશે તેવી ફાલ્ગુની પાઠકે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.  



સોશિયલ મીડિયા પર આ અંગે  ફાલ્ગુની પાઠકે કહ્યું કે, "કેમ છો બધા? આવતી કાલથી શરુ થતી નવરાત્રીની તમે બધાએ ઓલમોસ્ટ તૈયારી કરી દીધી હશે. અને ખાસ તો હું આજે એટલા માટે લાઈવ આવી છું. કે એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે, કે આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઓક્ટોમ્બરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઈટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચ્યા હતા. પરંતુ તેમની ફ્લાઈટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલ ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધના કારણે ફ્લાઈટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે."

તેમણે વધુમાં કહ્યું કે, "એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઓક્ટોમ્બરે કાર્યક્રમ મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો. અને પ્રાર્થના કરજો કે, આવતી કાલથી શરુ થતી નવરાત્રીમાં અમારી ટીમ કોઈ વિઘ્ન વિના પરત આવી જાય. અને હા ગરબાનું સ્થળ જે આજે હતું એજ રહેશે."



Google NewsGoogle News