પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઈ, રાજ્યમાં હાઇ ઍલર્ટ
High Alert In Gujarat: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇઍલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યભરના રેલવે સ્ટેશન અને ઍરપોર્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ સાથે જ રાજ્યભરમાં પોલીસ ચેકીંગ શરુ કરી દીધું છે. શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યના બોર્ડર વિસ્તારની સાથે સાથે સંવેદનશીલ સ્થળો પર વધારાની પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. અવર-જવર કરી રહેલા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકા-સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોમાં સુરક્ષા વધારાઈ
આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ખાસકરીને સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ ઍલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને ઍલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અંબાજી મંદિરમાં એસઓજી અને સ્નાઇપર તહેનાત
બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલી છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતાં હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે. મંદિરમાં દર્શન કરવા આવતાં તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત
આતંકવાદી હુમલાની ઘટના વચ્ચે રાજ્યમાં શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદમાં પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકીંગ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ચાંપતી નજર રાખી રહી હતી. સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાશે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે.