હાટકેશ્વર બ્રિજ આખો નહીં તોડાય માત્ર જર્જરિત ભાગને જ તોડાશે, કેટલાક ભાગોનું રીપેરિંગ કરાશે
વિપક્ષે શહેરના મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી બ્રિજ તોડવા અંગેની મુંઝવણને દૂર કરવાની માંગ કરી
અમદાવાદઃ (Ahmedabad)શહેરના હાટકેશ્વર બ્રિજને તોડવા અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.(hatkeshwar bridge) પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બ્રિજને તોડીને નવો બનાવવા મામલે જે ટેન્ડરમાં બ્રીજના સ્પાનને તોડીને નવા બનાવાશે તેવી રજૂઆત કરાઈ છે. આજે વિપક્ષે શહેરના મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી બ્રિજ તોડવા અંગેની મુંઝવણને દૂર કરવાની માંગ કરી હતી.(Amc) મેયર પ્રતિભા જૈને આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ આખો તોડવામાં નહિ આવે. (mayor)બ્રિજને માત્ર રીપેરીંગ કરવામાં આવશે માત્ર જર્જરીત ભાગને તોડાશે.
હજી ટેન્ડર વેબસાઈટ ઉપર અપલોડ કરાયુ નથી
બીજી બાજુ એક્સપર્ટ કમિટીના રીપોર્ટમાં એવું જણાવાયું છે કે, હાટકેશ્વર બ્રિજ વાહનોની અવરજવર માટે યોગ્ય નથી. તે છતાંય માત્ર જર્જરિત ભાગને જ તોડવાનો નિર્ણય લેવાતા સવાલો ઉભા થયાં છે.કમિટીના ઠરાવ મુજબ ખર્ચો કોન્ટ્રાક્ટર પાસેથી જ વસૂલવામાં આવશે તેમ જણાવ્યું હતું જો કે ખર્ચ વધશે કે ઘટશે તે અંગે સત્તાધિશો મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે અપલોડ કરવાની તારીખ 9 ઓક્ટોબર હતી પરંતુ આજે 10 ઓક્ટોબર થઈ ગઈ હોવા છતાં પણ ટેન્ડરને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યું નથી.
પહેલાં બ્રિજ તોડવાની વાત હતી અને હવે રીપેર કરવાની
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મેયર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે એપ્રિલ 2023માં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવાની વાત કરી હતી વિપક્ષ દ્વારા બ્રિજને તોડવા મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે જેમાં બ્રિજના ભાગને જ તોડવાનો નિર્ણય લીધો છે. જ્યારે બાકીના ભાગને તેઓએ મેન્ટેનન્સ એટલે કે રીપેર કરવાની વાત છે ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે પહેલા બ્રિજ તોડવાની વાત હતી અને હવે તેઓ માત્ર બ્રિજને રીપેર કરવાની વાત છે. આમ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ નાગરિકોને મૂર્ખ બનાવી રહ્યા છે.