અમદાવાદમાં 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ પાંચ વર્ષમાં જ ખખડી ગયો, હવે તોડવાનો વારો આવ્યો
જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ પર તપાસ કરવામાં આવી હતી અને તેમા ગેરરિતી આચરવાની માહિતી સામે આવી હતી. આ બ્રિજ નિર્માણમાં ગેરરિતી આચરનારા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એએમસી થોડાક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.
અમદાવાદ શહેરમાં આવેલા ચર્ચાસ્પદ હાટકેશ્વરમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજની તપાસ સરકારી તેમજ ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી હતી. આ બ્રિજની ગુણવતા અંગે રુડકી આઈઆઈટીએ તપાસ કરી હતી અને ભારે વાહનો માટે પ્રતિબંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ ખખડધજ જેવી હાલતમાં હોવાથી સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવારનવાર જોખમ ઉભું થવાની ચિંતા વ્યક્ત કરી હતી.
હાટકેશ્વર બ્રિજની ગુણવત્તામાં શંકા જતા કમિશનરે ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ કમિટીએ તપાસ કરીને કમિશનરને રિપોર્ટ સોંપ્યો હતો. આ બ્રિજની ગુણવત્તા ખુબ જ નબળી હોવાથી અને તે લોકો માટે જોખમી હોવાનું જાણવા મળતા તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.