ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસઃ મેટ્રો કોર્ટના સમન્સ રદ કરાવવા કેજરીવાલ અને સંજયસિંહ હાઈકોર્ટના શરણે
અગાઉ સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવીઝન અરજી ફગાવી દીધી હતી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરાયો છે. આ અરજી પર કોર્ટે સમન્સ ઇશ્યૂ કર્યા હતા. કેજરીવાલ અને સંજયસિંહે આ સમન્સના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંયજસિંહની મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવીઝન અરજી ફગાવી દીધી હતી. હવે બંને મેટ્રો કોર્ટના સમન્સ રદ કરાવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં ઉપસ્થિત નહીં રહેવું પડે
હવે આગળની કાર્યવાહી 23 સપ્ટેમ્બરે મેટ્રો કોર્ટની મુદતમાં ચાલશે. કેજરીવાલ અને સંજયસિંહે મેટ્રો કોર્ટની સુનાવણી પહેલાં હાઈકોર્ટમાં સુનાવણી રાખવા વિનંતી કરી હતી. જો કે,રજિસ્ટ્રીમાં પાક્કો નંબર પડ્યા બાદ કેસ લીસ્ટ થશે ત્યારે જ તેમને સાંભળવામાં આવશે તેમ કોર્ટના જજ સમીર દવે દ્વારા જણાવાયું હતું.મેટ્રો કોર્ટમાં બંને આરોપીઓના વકીલે અંડરટેકિંગ આપતા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં ઉપસ્થિત રહેવું નહીં પડે.
સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી પર રજૂઆત કરાઈ હતી
કેજરીવાલ અને સંજયસિંહ દ્વારા અગાઉ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી પર રજૂઆત કરાઈ હતી કે, તેમની સામે મેટ્રો કોર્ટે ખોટા સમન્સ કાઢ્યા છે. કારણ કે, ગુજરાત યુનવર્સિટી સરકારી સંસ્થા છે. તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહીં. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે છે. સ્ટેટ કોઈ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે નહીં. જ્યારે આજે યુનિવર્સિટીના વકીલે દાવો કર્યો હતો કે, યુનિવર્સિટી વૈદ્યાનિક સંસ્થા છે અને તેને રાજ્યએ ઊભી કરી છે પરંતુ તે સંપૂર્ણ રીતે રાજ્ય નથી. યુનિવર્સિટી કોઈ કોન્ટ્રાક્ટ આપે અને તેનો ભંગ થાય તો યુનિવર્સિટી કેસ કરી શકે છે.