ઘૂસણખોરોને રાખવા માટે અમદાવાદમાં બન્યું દેશનું ચોથું જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર, ભુજ JICનું ભારણ ઘટશે

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ઘૂસણખોરોને રાખવા માટે અમદાવાદમાં બન્યું દેશનું ચોથું જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર, ભુજ JICનું ભારણ ઘટશે 1 - image


Joint Interrogation Center in Ahmedabad : અમદાવાદમાં રાજ્યનું બીજું જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર (JIC) શરુ થઈ રહ્યું છે. આ પહેલા ગુજરાતનું પહેલું જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ભુજમાં હતું. અમદાવાદમાં ઍરપૉર્ટ નજીક સરદારનગર વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં નિર્માણ પામેલા નવા JICમાં 16 પુરુષ બેરેક અને 2 મહિલા બેરેક છે. અહીં અટકાયત કરાયેલા વિદેશી નાગરિકોને રાખવામાં આવશે. આ તમામ બેરેકમાં 64 પુરુષ અને 12 સ્ત્રી સહિત કુલ 75થી વધુ વિદેશી અટકાયતીઓને રાખી શકાશે. તો આ ગુજરાતનું બીજું અને દેશનું ચોથું JIC છે. અગાઉ દેશમાં જમ્મુ, રાજસ્થાન અને ભુજ આમ ત્રણ JIC હતા. જણાવી દઈએ કે, ભારતમાં ઘૂસણખોરી કરીને ઝડપાયેલા નાગરિકોને અહીં રાખવામાં આવે છે.

અમદાવાદમાં અત્યાધુનિક JIC થશે શરુ

JICમાં રાખવામાં આવેલા અટકાયતીઓની પૂછપરછ, તપાસ સહિતની તમામ પ્રક્રિયાઓ અહીં જ થશે. રાજ્ય સરકારની તમામ એજન્સી અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અહીંયા સાથે કામગીરી કરી શકશે. ગુજરાત ATS, ક્રાઇમ બ્રાંચ, CID ક્રાઇમ, સાયબર ક્રાઇમ તેમજ નેશનલ એજન્સીઓ જેમાં DRI, કસ્ટમ, IT, ED અને અન્ય એજન્સીને પણ અહીં અટકાયત કરેલા વિદેશી નાગરિકોની પૂછપરછ કરશે. સેન્ટ્રલ જેલની જેમ અહીંયા પણ 12 મીટર એટલે કે અંદાજે 30 ફૂટ ઊંચી દીવાલ ચણવામાં આવી છે. આ સાથે સમગ્ર પરિસરમાં સીસીટીવી સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થા કરાશે. આ JICમાં તમામ એજન્સીઓ આરોપીઓને ઇન્ટરોગેટ કરી શકે તેવો રૂમ, લાઇ ડિટેક્ટર રૂમ, મોનિટરીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સુરક્ષા વ્યવસ્થા અને તપાસ અધિકારી માટેના રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. આ જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર 31 ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે.

ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા

નવું JIC બનતા ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા છે. ભુજ JICમાં 70 અટકાયતીઓના સમાવેશ ક્ષમતા છે, છતાં મોટાભાગે તેમાં બેથી અઢી ગણા વધુ અટકાયતીઓને રાખવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં નવું JIC બનતા ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા છે. જો કે, અમદાવાદ SOGના પ્રાંગણના કામચલાઉ ડીટેન્શન સેન્ટરમાં પણ લાંબા સમયથી 50થી વધુ વિદેશી નાગરિકોને રાખવામાં આવેલા છે. અમદાવાદ SOG પાસે 35થી વધુ બાંગ્લાદેશીઓ છે. જેઓને ડિપોર્ટ કરવા સુધી અહીંયા રાખવા પડે તેમ છે. ખાસ કરીને ડિપોર્ટ કરવામાં કેન્દ્ર સરકાર સુધી જાણ કરવાની પ્રક્રિયા અને બાદમાં આરોપીઓને BSF સુધી પહોંચાડવામાં 3થી 4 મહિનાનો સમય લાગી જતો હોય છે. તેવામાં સેન્ટર શરુ થયા બાદ વિદેશનો કોઈપણ નાગરિક ગેરરીતિ મામલે ઝડપાશે તો તે ડિપોર્ટ ન થાય ત્યાં સુધી જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે રાખવામાં આવશે.

શું છે જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ?

ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસણખોરી કરતાં સમયે પકડાતા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતાં ઝડપાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં વિદેશી નાગરિકોને પકડીને JICમાં મોકલવામાં આવે છે. જ્યાં સુધી તેમના પરનો કેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી JICમાં રાખવામાં આવે છે. જે જેલ નહીં પરંતું એક પ્રકારે ડીટેન્શન સેન્ટર છે. અહીં લવાયેલા વિદેશી નાગરિકોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે. 

પાકિસ્તાન અને બાંગ્લાદેશના સૌથી વધુ ઘૂસણખોર

અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ભુજ JICમાં ચાર પાકિસ્તાની નાગરિકોના બીમારીના કારણે મૃત્યુ થયા હતા. ગત અઢી વર્ષમાં ગુજરાતમાં 74 પાકિસ્તાની નાગરિકો, 14 અફઘાની નાગરિકો અને 6 ઈરાની નાગરિકો ઝડપાયા છે. જ્યારે અમદાવાદ શહેર એસઓજી દ્વારા વર્ષ 2007થી 2022 સુધીમાં 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડીને ડિપોર્ટ કરાયા છે. સમયાંતરે કામગીરી કરીને ઈસનપુર, નાના ચીલોડા સહિતના આસપાસના વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં આ પ્રકારના આરોપીઓને પરત મોકલી દેવાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા હવેથી જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતેથી કરવામાં આવશે. આમ, સૌથી વધુ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. 


Google NewsGoogle News