ગુજરાત સરકાર દેવામાં, કારણ-વિકાસના બદલે પ્રચાર પાછળ 1.51 લાખ કરોડનો બિનઉત્પાદક ખર્ચ
Debt on Gujarat Government: ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનો તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી છે. પરિણામે ગુજરાતના બજેટના કુલ ખર્ચમાં 1.51 લાખ કરોડનો ખર્ચ બિનઉત્પાદક ખર્ચ એટલે કે અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિંચરનો છે. તેની સામે પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર 1.33 લાખ કરોડ રૂપિયાનો છે, એમ ગુજરાત સરકારના 19મી તારીખે જાહેર કરવામાં આવનારા બજેટ પૂર્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું.
'રાજ્યની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે'
પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત સરકારના 2025-26ના વર્ષના બજેટનું કદ 3.63 લાખ કરોડ રૂપિયાથી 3.70 લાખ કરોડ રૂપિયાની આસપાસનું રહેવાની સંભાવના છે. રાજ્ય સરકારની આવકમાં અધધધધ વધારો થઈ રહ્યો હોવા છતાં તેની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે. 2010માં 37000 કરોડ રૂપિયાના કદના બજેટનું કદ આજે વધીને 3.70 લાખ કરોડ રૂપિયાનું તઈ ગયું હોવા છતાંય ગુજરાત દેવાના ડુંગર તળે કચડાઈ રહ્યું છે.
સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, 'ગુજરાતનું દેવું 2024-25ના અંતે 4.26 લાખ કરોડ રૂપિયાનું છે તે બે વર્ષમાં વધીને 5.23 કરોડ રૂપિયાને આંબી જાય તેવી સંભાવના છે. રાજ્યની આવક કરતાં જાવક વધારે હોવાથી સતત દેવામાં ઊંડું ખૂપતું જ જશે. ગુજરાત આ દેવામાંથી ક્યારેય બહાર આવી શકશે નહીં. પરિણામે ગુજરાતના ગરીબો, બાળકો, મહિલાઓ અને શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવન બદતર બનતું જશે. ગુજરાત સરકાર ખર્ચની બાબતમાં અવાસ્તવિક વિભાગોને અગ્રક્રમ આપી રહી છે.'
આ પણ વાંચો: ભરુચમાં મામાના ઘરે લગ્નમાં આવેલી 17 વર્ષની કિશોરી પર બે ટીનેજરે સામૂહિક દુષ્કર્મ આચર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, 'બીજીતરફ ગુજરાત સરકાર તેના બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ, વન અને પર્યાવરણ, શ્રમ, કૌશલ્યને રોજગાર વિભાગ, આરોગ્ય ને પરિવાર કલ્યાણ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, શિક્ષણ વિભાગ અને પંચાયત ગ્રામ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ માટે જરૂર કરતાં ઓછું બજેટ ફાળવી રહી છે. જોકે ક્લાઈમેટ ચેન્જ, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ, માર્ગ ને મકાન, શહેરી વિકાસ ને શેહરી ગૃહનિર્માણ, ઉદ્યોગ-ખાણ વિભાગ તથા નાણાં વિભાગ માટેના બજેટમાં ઘટાડો કરવો જોઈએ. ચોક્કસ વિભાગો માટે બિનજરૂરી ફંડની ફાળવણી કરવામાં આવતી હોવાથી કાયદેસરના આર્થિક માળખા પર બિનકાયદેસર આર્થિક માળખું હાવી થઈ રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. ગુજરાતના કુલ ઉત્પાદનના અંદાજિત આંકડા વધુ દર્શાવવામાં આવી રહ્યા છે. આ આંકડાંઓ ગુજરાાતના માથા પરના દેવા-ઋણ અને આવકના આંકડા સાથે સુસંગત નથી. સબસિડીની રકમમાં પણ સતત ઘટાડો કરવામં આવી રહ્યો છે.'
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, 'વનવિભાગ માટેના ખર્ચના પરિણામ દેખાતા નથી. વનવિભાગની ફાળવણી છતાંય તેના પ્રભાવક પરિણામો જોવા મળતા નથી. વનવિભાગ માટે વધુ બજેટની ફાળવણી જરૂરી છે. ગુજરાતના 68 લાખ ખેતમજૂરોને રોજનો 2000 કેલરીનો ખોરાક મળવો જરૂરી છે. તેમના ભાજન, મકાન અને તબીબી સારવારની જરૂરિયાત સરકર પૂરી કરી શકતી નથી. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સરકારે કુલ ખર્ચના 8 ટકા ખર્ચ આરોગ્ય સેવા માટે કરવો જરૂરી છે. આ ખર્ચ 6 ટકાની આસપાસનો જ છે. 2025-26ના બજેટમાં 29,099 કરોડની જોગવઆઈ કરવી જરૂરી છે. 2030 સુધીમાં માતાનો મૃત્યુદર અત્યાારના 57થી નીચે લાવીને 40નો કરવો હોય તો 20,099 કરોડ રૂપિયાની ફાળવણી જરૂરી છે. આ જ રીતે શિક્ષણ માટે પણ 60,256 કરોડ રૂપિયાની જોગવાઈ કરવી જરુરી છે.'
મહિલા અને બાળકલ્યાણ માટે નજીવો ખર્ચ
મહિલા અને બાળકલ્યાણ માટે 6885 કરોડ રૂપિયાના બજેટમાંથી બાળકોના કુપોષણની સમસ્યાનું નિવારણ લાવવા માટે 45 લાખ લાભાર્થીઓ માટે 11000 કરોડથી વધુની જરૂરિયાત સામે માત્ર 2023-24ના બજેટમાં 357 કરોડ રૂપિયાની અને 2024-25ના બજેટમાં માત્ર 187 કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવી રહી છે. આ જ રીતે દૂદ સંજીવની યોજના માટે 2024-25માં માત્ર 132 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જે રાજ્યના બાળકો કુપોષણનો શિકાર બનતા હોય તે રાજ્યમાં ટકાઉ વિકાસ શક્ય જ નથી. નેશનલ ફેમિલી હેલ્થ સરવેના 2019-21ના સરવેમાંજણાવ્યા મુજબ ગુજરાતની 65 ટકા મહિલાઓ કુપોષણનો શિકાર બનેલી છે. 6 માસથી 59 માસના બાળકોમાં 79.70 ટકા બાળકો કુપોષણનો શિકાર બનેલા છે. તેમ જ 39.07 ટકા બાળકોનું વજન હોવું જોઈએ તેના કરતાં ઓછું છે. બાળકોને પ્રોટીન યુક્ત ખોરાક મળે અને તેમની તન્દુરસ્તી સારી રહે તે માટે 11000 કરોડ રૂપિયાની ફાળવણીની જરૂર છે.