ગુજરાતમાં 3219 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ, દેશમાં સંખ્યાની દૃષ્ટિએ છેક 10મા ક્રમે, ટોચના ક્રમે યુપી
Image: Freepik |
Gujarat News: ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના આંકડા મુજબ સમગ્ર દેશમાં 113360 ફાર્મસિસ્ટ નોંધાયેલા છે. ડિપ્લોમા ફાર્મસી પરીક્ષા પાસ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થઈ શકે છે અને જે તે સ્ટેટ કાઉન્સિલ દ્વારા ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કરીને લાયસન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ફાર્મસિસ્ટના લાઈસન્સ માટે મીનિમમ ક્વોલિફિકેશન ડિપ્લામા ફાર્મસી છે. ફાર્મસિસ્ટની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત હાલ દેશમાં 10માં ક્રમે છે. ગુજરાતમાં 3219 નોંધાયેલા ફાર્મસિસ્ટ છે. જ્યારે સૌથી વધુ 26797 ફાર્મસિસ્ટ ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી, ડ્રાઈવર સહિત 3 ઈજાગ્રસ્ત
એક વર્ષ માટે અપાઈ છૂટ
ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા 2022માં નવા રૂલ્સ જાહેર કરીને ડિપ્લોમા ફાર્મસી પરીક્ષા પાસ કર્યા બાદ રજિસ્ટ્રેશન માટે ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ફરજીયાત કરી છે. આ પરીક્ષા પ્રથમવાર ગત ઓક્ટોબરમાં નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા લેવાનાર હતી. પરંતુ, પરીક્ષા ફી અને લાયકાતના વિવાદને લઈને પરીક્ષા છેલ્લી ઘડીએ મોકુફ કરાઈ હતી તેમજ રજિસ્ટર્ડ થયેલા ગુજરાતના 500થી વધુ સહિત દેશભરના 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફી રીફંડ કરી દેવામા આવી હતી. ઉપરાંત ઉમેદવારોની રજૂઆત બાદ કાઉન્સિલ દ્વારા દરેક સ્ટેટ કાઉન્સિલને એક વર્ષ માટે પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરવા માટે છૂટ આપવામા આવી હતી.
ગુજરાત દેશમાં દસમાં ક્રમે
કાઉન્સિલ દ્વારા પરીક્ષા જાહેર કરાયા બાદ હજુ સુધી એક પણ વખત પરીક્ષા લઈ શકાઈ નથી, ત્યારે પરીક્ષા વિના ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયામાં નોંધાયેલા કુલ ફાર્મસિસ્ટ સમગ્ર દેશમાં 113360 છે. ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાની વેબસાઈટ પર જાહેર કરાયેલા સ્ટેટવાઈઝ રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટની વિગતો મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ 26797 ફાર્મસિસ્ટ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે ગુજરાત દેશમાં દસમા ક્રમે છે. સૌથી ઓછી માત્ર 7 અંદમાન અને નિકોબારમાં અને 14 નાગાલેન્ડમાં છે. જ્યારે ચંડીગઢ અને મણિપુરમાં 100થી પણ ઓછા છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશની માંગ વધી છે અને ફાર્મસીની બેઠકોમાં પણ ઘણો વધારો થયો છે.