ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ 22 જુલાઇએ પૂર્ણ થશે, આનંદીબેન પટેલ પણ થશે નિવૃત

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Acharya Devvrat-Anandiben Patel


Gujarat Governer : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ ૨૨મી જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત માટે નવા રાજ્યપાલની તલાશ શરૂ કરી દીધી છે. આચાર્ય દેવવ્રત 22મી જુલાઇ 2019માં રાજ્યપાલ તરીકે આરૂઢ થયા હતા. રાજ્યપાલ મળ્યાં છે પરંતુ તે પૈકી છ રાજ્યપાલ કાર્યકરી પદ પર રહ્યાં હતા જેમાં પીએન ભગવતી 1969 અને 1973 એમ બે વખત કાર્યકારી પદે રહ્યાં હતા. 

ગુજરાતને 1લી મે 1960માં પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ ઝંગ પ્રાપ્ત થયા હતા. તેમણે પાંચ વર્ષ સુધી આ પદ ભોગવ્યું હતું. તેમના પછી આવેલા નિત્યાનંદ કાનુનગોએ પાંચ વર્ષ પુરાં કર્યા ન હતા. ગુજરાતમાં યુપીએ સરકારમાં ડો. કમલા બેનિવાલએ પાંચ વર્ષ પૂરાં કર્યા પછી કાર્યકારી રાજ્યપાલ તરીકે માર્ગારેટ આલ્વાને મૂકવામાં આવ્યા હતા પરંતુ ત્યારપછી કેન્દ્રમાં એનડીએની સરકાર આવતાં રાજ્યપાલ તરીકે ઓમપ્રકાશ કોહલીની વરણી થઈ હતી.

ગુજરાતમાં આચાર્ય દેવવ્રતે શરૂઆતથી જ તેમના કાર્યકાળમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી ગુજરાતનો પ્રવાસ કર્યો છે અને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. કેન્દ્ર સરકાર તેમના માટે પ્રાકૃતિક ખેતીના કોઈ  મહત્વના પદ પર વિચારણા કરી શકે તેમ છે. ગુજરાતમાં ભૂતકાળમાં એવો એકપણ દાખલો બન્યો નથી કે કોઇ રાજ્યપાલને બીજી ટર્મ માટે ચાલુ રાખવામાં આવ્યા  હોય. એટલે કે ગુજરાતને હવે નવા રાજ્યપાલ મળશે. 

આ સાથે ઉત્તરપ્રદેશને પણ નવા રાજ્યપાલ મળશે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના નેતાઓ દેશના અન્ય રાજ્યોમાં રાજ્યપાલ બન્યા હોય તેવા કુલ ત્રણ કિસ્સા છે. ભાજપની સરકારના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વજુભાઇ વાળાને મોદી સરકારે કર્ણાટક રાજ્યમાં રાજ્યપાલ બનાવ્યા હતા પરંતુ તેમની ટર્મ પુરી થઈ ગઇ હોવાથી હાલ તેમની પાસે કોઈ હોદ્દો નથી. એ ઉપરાંત મધ્યપ્રદેશ રાજ્યમાં હાલ રાજ્યપાલ પદે છે તે પૂર્વ સિનિયર મંત્રી મંગુભાઈ પટેલ છે. તેમના ટેન્યોરને હજી વાર છે. તેમને જુલાઈ 2021માં રાજ્યપાલ બનાવેલા છે.


Google NewsGoogle News