Get The App

4.5 લાખ સરકારી કર્મચારીએ ગુજરાતની ભાજપ સરકારનું ટેન્શન વધાર્યું, આજે વ્યૂહરચના ઘડાશે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
4.5 લાખ સરકારી કર્મચારીએ ગુજરાતની ભાજપ સરકારનું ટેન્શન વધાર્યું, આજે વ્યૂહરચના ઘડાશે 1 - image


Gujarat Government Employees Protest: ફિક્સ પગારથી લઈને અન્ય પડતરો પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે પ્રશ્નોનું નિરાકરણ લાવવા કર્મચારીઓની કોણીએ ગોળ ચોંટાડ્યો છે, ત્યારે હવે સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. 

લાંબા સમયથી સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને ઉકેલ નથી આવ્યાં. કર્મચારીઓની માંગ છે કે, સરકારી કર્મચારીઓને રાહત દરે ગાંધીનગરમાં પ્લોટ આપવા, હાઉસિંગ બોર્ડના મકાનોની પણ રાહત દરે ફાળવણી કરવી, પંચાયત, બોર્ડ નિગમ અને મહા નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવા, કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર પ્રથા બંધ કરવી તેમજ અન્ય પડતર પ્રશ્નો મુદ્દે તાકીદે નિરાકરણ લાવો. આ મામલે ગુજરાત કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવેદનપત્ર પણ આપ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપમાં અંદરો-અંદર ઝઘડા, વડોદરામાં પૂર બાદ પાટિલ સહિત કેન્દ્રના કોઈ મંત્રી ન ફરકતાં લોકોમાં રોષ

કર્મચારી મહામંડળનું કહેવું છે કે, પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ પણ સરકારે વચન આપ્યુ હતું પણ વચન પાળવામાં આવ્યું નથી. રવિવારે ગુજરાત કર્મચારી મહામંડળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં આંદોલનની વ્યૂહનીતિ ઘડવામાં આવશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, સોમવારે સચિવાલયથી માંડી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરશે. ત્યાર બાદ જિલ્લા કક્ષાએ ધરણાં યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ 'ફ્લડ ટુરિઝમ' બાદ ભાજપના મંત્રીઓ ચૂંટણીમાં 'મસ્ત', ગુજરાતની પ્રજા હજુ પણ તકલીફોમાં વ્યસ્ત

કર્મચારીઓના ધરણાં છતાંય સરકાર પ્રશ્નો નહીં ઉકેલે તો રેલી-જાહેર સભા યોજવા પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે પ્રશ્નો નહી ઉકેલાય ત્યાં સુધી સરકાર સામે લડત લડવા કર્મચારીઓ મન બનાવી લીધું છે.


Google NewsGoogle News