ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં ચિંતા
350 New TB Cases Daily: વર્ષ 2025 સુધીમાં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે હજુ ઘણો તફાવત છે. ગુજરાતમાં આ વર્ષના પ્રથમ 45 દિવસમાં જ ટીબીના 15748 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, દરરોજ ટીબીના સરેરાશ 350 નવા કેસ નોંધાય છે.
છેલ્લા 5 વર્ષમાં 5.86 લાખ કેસ નોંધાયા જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વઘુ 87063 કેસ છેલ્લા 5 વર્ષમાં જ ગુજરાતમાં 5.86 લાખ લોકો ટીબીની ઝપેટમાં આવી ચૂક્યા છે. પાંચ વર્ષના આ સમયગાળામાં સૌથી વઘુ કેસમાં સુરત જિલ્લો 64288 સાથે બીજા સ્થાને છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.
રાજયના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ટીબી પર અંકૂશ મેળવવા પૂરતા પ્રયાસો હાથ ધરાયા છે. દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂ.1000ની પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી અપાય છે.
અત્યારસુધી આ યોજના અંતર્ગત ગુજરાતમાં ટીબીના 7,68,000થી પણ વધુ દર્દીઓને રૂ.246 કરોડથી વધુની આર્થિક સહાય ડીબીટી માઘ્યમથી અપાઈ છે. દર વર્ષે આવતા ટીબીના 1,40,000 કેસમાંથી 90% દર્દીઓને સાજા કરી શકાયા છે.