અમદાવાદથી ઝડપાયેલા ચાર આતંકવાદીઓના ષડયંત્ર અંગે થયો મોટો ખુલાસો, DGPએ આપી માહિતી

Updated: May 20th, 2024


Google NewsGoogle News
અમદાવાદથી ઝડપાયેલા ચાર આતંકવાદીઓના ષડયંત્ર અંગે થયો મોટો ખુલાસો, DGPએ આપી માહિતી 1 - image

ISIS Terrorist: અમદાવાદમાં ગુજરાત ATSએ ISISના ચાર શંકાસ્પદ આતંકવાદીઓની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે. પોલીસે દાવો કર્યો છે કે આ ચારેય મૂળ રીતે શ્રીલંકાના રહેવાસી છે. તમામ આતંકવાદીઓ શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ તેઓ કોઈ કામ કરવાની ફિરાકમાં હતા. ત્યારે હવે આ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થયા છે. ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

અમદાવાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓની થઈ ઓળખ

આ અંગે DGP વિકાસ સહાયે જણાવ્યું કે, 'ગુજરાત ATSએ બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમને પૂછપરછ માટે ATS ઓફિસ લઈ જવાયા હતા. આ તમામને અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી ભાષા આવડતી ન હતી. તેઓ માત્ર તમિલ ભાષાના જાણકાર હતા. જેને લઈને તમિલ ભાષાના જાણકારને બોલાવાયા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ચારેયની ઓળખ થઈ છે. જેના નામ મહોમ્મદ નુસરત (33 વર્ષ), મોહમ્મદ ફારિસ (35 વર્ષ), મોહમ્મદ નુફ્રાન (27 વર્ષ) અને મોહમ્મદ રાઝદીન (43 વર્ષ) છે. આ ચારેય શ્રીલંકાના છે અને તેઓ આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ISના સક્રિય સભ્યો છે.'

અમદાવાદથી ઝડપાયેલા ચાર આતંકવાદીઓના ષડયંત્ર અંગે થયો મોટો ખુલાસો, DGPએ આપી માહિતી 2 - image

આતંકવાદીઓ પાસેથી શું મળી આવ્યું અને તેમનો શું ઉદ્દેશ્ય હતો? 

વિકાસ સહાયે જણાવ્યું કે, 'ચારેય આતંકવાદીઓ પાસેથી પાસપોર્ટ, બે મોબાઈલ, સુટકેસ અને ISનો ફ્લેગ મળી આવ્યો છે. આ ચારેય ફેબ્રુઆરી 2024માં મૂળ શ્રીલંકાના અને હાલ પાકિસ્તાનમાં રહેતા અબુના સંપર્કમાં હતા. આ ચારેય ઓનલાઈન માધ્યમથી અને પ્રોટોન મેઈલની મદદથી તેના સંપર્કમાં રહ્યા. સંપૂર્ણપણે તેમણે ISની વિચારધારા અપનાવી લીધી હતી. પાકિસ્તાનમાં રહેતા અબુએ આ ચારેય લોકોને ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી કૃત્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે માટે આ ચારેય સહમત પણ થયા હતા. એટલી હદે તેઓ સહમત હતા કે અમુકે તો સુસાઈડ બોમ્બર બનવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ તમામને આતંકી કૃત્ય કરવા માટે અબુએ શ્રીલંકન ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા.'

તેમના મોબાઈલમાંથી શું મળી આવ્યું ?

વિકાસ સહાયે જણાવ્યું કે, 'તેમની પાસેથી બે મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વીડિયો છે. જેનાથી સાબિતી મળે છે કે તેઓ ISના સક્રિય સભ્ય બની ગયા હતા અને તેની વિચારધારામાં માનતા થઈ ગયા હતા. ઉપરાંત મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમાંથી અમૂક ફોટો અને લોકેશન મળી આવ્યા. જે લોકેશન નાનાચિલોડાના હિંમતનગર રોડ પરની એક જગ્યાનું છે. આતંકીઓના કહેવા મુજબ પાકિસ્તાની હેન્ડલર છે તેમણે આતંકી કૃત્ય કરવા માટે હથિયાર એક જગ્યાએ રાખી મૂક્યા હતા. જે જગ્યાના ફોટો અને માહિતી તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવી. ત્યારબાદ તાત્કાલિક એટીએસના અધિકારીઓ રૂબરૂ તે જગ્યાએ નાનાચિલોડા પહોંચ્યા. મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટો હતા તે મુજબ ત્યાંથી વસ્તુઓ મળી આવી. તેની ચકાસણી કરતા તેમાંથી ત્રણ પિસ્તોલ મળી આવી. પિસ્તોલ પર સ્ટાર બનેલા છે જે પાકિસ્તાનના હથિયારોમાં હોય છે. તેના પર SATA લખેલું છે, જેનાથી સંપૂર્ણપણ સાબિત થાય છે કે આ પિસ્તોલ પાકિસ્તાનની છે. સાથો સાથ 20 કારતૂસ પણ મળી આવી છે. ત્રણેય પિસ્તોલ લોડેડ હતી. બેમાં સાત કારતૂસ અને એકમાં છ કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે ISનો ઝંડો પણ મળી આવ્યો છે. જે બાબતે આતંકીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમને આદેશ હતો કે જ્યાં કૃત્ય કરશે ત્યાં આ ઝંડો મૂકીને આવજો.'

આતંકી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા?

વિકાસ સહાયે જણાવ્યું કે, 'ઝડપાયેલા આતંકવાદીઓ પૂછવામાં આવ્યું કે તેઓ કઈ જગ્યાએ આતંકી કૃત્ય કરવાના હતા. જેના જવાબમાં આતંકીઓએ જણાવ્યું કે અબુએ અમને કહ્યું હતું કે પહેલા તમે હથિયાર મેળવી લો. ATS દ્વારા હાલ તપાસ કરાઈ રહી છે કે આતંકીઓ ક્યાં જવાના હતા અને શું કરવાના હતા. નાનાચિલોડા મળી આવલે બિનવારસી સામાન અને હથિયાર કોણ મૂકી ગયું અને ક્યારે મુકી ગયું તે તપાસની બાબત છે. આ પ્રકારની તપાસમાં સમય લાગે તેમ છે. એ વાત સાચી છે કે અગાઉ કોઈ વ્યક્તિ આવીને પિસ્તોલ અને ફ્લેગ મુકી ગયું છે. ઉપરાંત અમદાવાદ, ગુજરાત, અન્ય રાજ્ય કે શ્રીલંકામાં કોનો સપોર્ટ હતો તેની તપાસ થશે.'

ચારેય કેવી રીતે ઝડપાયા? અને હાલ શું કાર્યવાહી થઈ?

વિકાસ સહાયે જણાવ્યું કે, 'ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને 18 મેના રોજ ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી. જેના આધારે ગુજરાત ATS દ્વારા ગંભીર પ્રકારના ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે. ATSમાં જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. DySP વિરજીત પરમારને તપાસ સોંપાઈ છે. તપાસની કાર્યવાહી ચાલું છે. આરોપીઓને માત્ર તમિલ ભાષા આવડે છે. જાણકાર લોકોની મદદ લઈને પૂછપરછ ચાલુ છે. અન્ય કોઈ બાબત હશે તો તે તપાસમાં સામે આવશે.'

મહત્વનું છે કે, ગુજરાતમાં ISISના ચાર આતંકવાદીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ મૌલવી સોહેલ અબુબકર મામલે પહેલાથી જ તપાસમાં લાગેલી છે. બીજી તરફ અમદાવાદમાં IPL ક્રિકેટ મેચ રમાવાની હોવાથી ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.


Google NewsGoogle News