Get The App

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ ઠંડોગાર, કાર્યકરો નિરુત્સાહ થતાં નેતાઓમાં ચિંતા

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
Sthanik Swaraj Election


Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયુ છે. જો કે ભાજપ અને કોંગ્રેસે મૂરતિયા પસંદ કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. 30મી સુધીમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે ત્યારે હજુ ચૂંટણીનો માહોલ ઠંડોગાર જોવા મળી રહ્યો છે જેથી પ્રદેશ નેતાઓની ચિંતા વધી છે. 

ચૂંટણી માહોલમાં રાજકીય ગરમી નહી

ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે. અત્યારે તો જૂથવાદના ડરથી ભાજપે નવા સંગઠનની રચના પર જ બ્રેક મારી દીધી છે. જીલ્લા-શહેર પ્રમુખપદનું ગાજર લટકાવી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા નક્કી કર્યુ છે. હાલ 'સારા નહીં પણ મારા' કહી શકાય એવા લોકોને ભાજપ પ્રદેશ સંગઠનમાં ગોઠવવા જાણે હોડ જામી છે. આ કારણોસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પ્રદેશ પ્રમુખ પાટીલના વડપણ હેઠળ લડાય તેવી પૂરેપુરી  શક્યતા જોવાઇ રહી છે. 

1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ

જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયુ છે ત્યારે પ્રથમ તબક્કામાં અપક્ષો જ ઉમેદવારી નોંધાવે તેમ છે. ભાજપ-કોંગ્રેસની ઉમેદવારો પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે. તા. 29-30એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે જેમાં ઉમેદવાર પસંદ કરાશે. તા.1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારી પસંદગી પ્રક્રિયા આટોપી લેવી પડશે. 

ચૂંટણીની જાહેરાત પછી પણ ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી

સૂત્રોના મતે, ગુજરાત ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ છે ત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતી થાળે પાડવા ભાજપે વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના સિનિયર નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવા નક્કી કર્યુ છે. હાલ ભાજપ હાઈકમાન્ડ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે. અત્યારે તો એક જ વાતની ચિંતા છે કે, ચૂંટણીની જાહેરાત પછી પણ ચૂંટણીનો જરાય માહોલ જોવા મળતો નથી. 

10 ફેબ્રુઆરી સુધી મંત્રી-ભાજપના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહશે 

ફેબ્રુઆરીના પ્રથમ દસેક દિવસ તો મંત્રી- ભાજપના નેતાઓ પાલિકા-પંચાયતની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેશે. આચારસંહિતા અમલમાં હોવાથી ફરી એક વાર સચિવાલય સૂમસામ રહેશે. 16મી ફેબ્રુઆરી ચૂંટણી યોજાનાર છે ત્યારે મંત્રીઓ ભાજપ પ્રદેશ નેતાઓ મતવિસ્તારમાં જઈને ચૂંટણી પ્રચાર કરશે. તા.18મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. આમ, ફેબ્રુઆરીનો મહિનો રાજકીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ જ મહિનામાં શહેર-જીલ્લા પ્રમુખના નામો જાહેર થશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ ઠંડોગાર, કાર્યકરો નિરુત્સાહ થતાં નેતાઓમાં ચિંતા 2 - image


Tags :