ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ
Food Adulteration In Gujarat: ગુજરાતમાં જાણે ભેળસેળિયાઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે. જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ વાતને લઈને સરકારની આકરી ટીકા કરી હતી. ત્યારે વિધાનસભામાં સરકારે જ કબૂલાત કરી છે કે, 'છેલ્લાં બે વર્ષમાં નકલી ઘી વેચતાં 117 ભેળસેળિયા પકડાયાં હતાં, પરંતુ કોઇને સજા થઈ નથી. આ જોતાં ભેળસેળિયા તત્ત્વો સામે સરકારની ઢીલાશભરી નીતિનો ખુલ્લી પડી છે.
ખાદ્યપદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે
વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીને લઈને ઊભરો ઠાલવ્યો હતો કે, આજે શું ખાવુ અને શું ન ખાવુ એ વાતને લઈને ગુજરાતની જનતા મૂંઝવણ અનુભવી રહી છે. ખાદ્યપદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે. આ અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે પણ આ મુદ્દો ઊઠાવી આક્ષેપ કર્યો હતો કે, માત્ર દરોડાના નાટક કરવામાં આવે છે, પરંતુ ભેળસેળિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો: વિદેશમાં હત્યાઓમાં RAWની સંડોવણી, પ્રતિબંધ મૂકો: અમેરિકન પંચ
છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં નકલી ઘી પકડાઈ રહ્યુ છે. વિધાનસભામાં સરકારે જ ખુલાસો કર્યો છે કે, વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં અમદાવાદમાંથી કુલ મળીને 8008 કિલો નકલી ઘીનો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાંથી પણ 977 કિલો નકલી ઘી પકડાયુ હતું. આ નકલી ઘી વેચનારાં માત્ર છ જણાંને 3.60 લાખ રૂપિયાનો દંડ કરી સરકારે સંતોષ માણ્યો હતો. નકલી ઘી વેચતા પ્રત્યેક ભેળસેળિયાને 60 હજાર રૂપિયાનો દંડ કરી સરકારે જાણે તીર માંર્યુ હોય તેવી કામગીરીનો દેખાડો કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગરમાં જ નકલી ઘી વેચનારાં 117 ભેળસેળિયા પકડાયાં હતાં તે પૈકી એક પણને સજા થઈ ન હતી.