કેચપીટ-મેનહોલની સફાઈ પાછળ 35 કરોડનું આંધણ કરાયા પછી પણ અમદાવાદ આખું જળબંબાકાર

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
કેચપીટ-મેનહોલની સફાઈ પાછળ 35 કરોડનું આંધણ કરાયા પછી પણ અમદાવાદ આખું જળબંબાકાર 1 - image

Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી આ વર્ષના ચોમાસા પહેલા 48 વોર્ડમાં આવેલી કેચપીટ તથા મેનહોલની સફાઈ પાછળ રુપિયા 35 કરોડનો ખર્ચ કર્યો હતો.તંત્ર તરફથી ત્રણ રાઉન્ડમાં કુલ 63 હજાર કેચપીટની સફાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.35 કરોડ ખર્ચ્યા પછી પાણી ભરાવાની સમસ્યા સુધરવાના બદલે બગડી છે. શહેર આખુ જળબંબાકાર બની જાય ત્યાં સુધી વહીવટી તંત્ર કે સત્તાધીશોને કોઈ અસર ના થાય એ કમનસીબ બાબત કહી શકાય. દર વર્ષે પ્રિ-મોનસુન એકશન પ્લાન હેઠળ કામગીરી કરાઈ હોવાનું રુપાળુ પ્રેઝન્ટેશન સત્તાધીશોને બતાવવામાં આવે છે અને સત્તાર્ધીશો અધિકારીઓ દ્વારા બતાવવામાં આવેલા આંકડાઓને સાચા માની પણ લે છે.

સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ વર્ષના આરંભે રુપિયા 12 હજાર કરોડથી વધુની રકમનું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું. રાજયમાં બીજા નંબરનું જંગી બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ બંધ એરકન્ડીશન ઓફિસમાં બેસીને વિવિધ પ્રકારના પ્લાનિંગ કરતા હોય છે. પ્રિ-મોન્સૂન એકશન પ્લાન એવા આકર્ષક શિર્ષક હેઠળ શહેરના 48 વોર્ડ વિસ્તારમાં આવેલી કેચપીટો તથા મેનહોલની સફાઈ સામાન્ય રીતે એપ્રિલ મહિનાના આરંભથી શરુ કરી દેવામાં આવતી હોય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બારે મેઘ ખાંગા, 245 તાલુકામાં 10 ઈંચ વરસાદ, જાણો ક્યાં સૌથી વધુ મેહુલિયો વરસ્યો

જુન મહિનાના પહેલા સપ્તાહ સુધીમા કેચપીટોની સફાઈની કામગીરી ત્રણ રાઉન્ડમાં પુરી કરી દેવાની હોય છે. મ્યુનિ.ના વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના વિજય પટેલે કહ્યું, આમ તો જુન મહિના સુધીમાં કેચપીટ, મેનહોલની સફાઈ પુરી કરી લેવાતી હોય છે. આમ છતાં ચોમાસા દરમિયાન જયાં જરુરી લાગે તેવા તમામ વિસ્તારમાં કેચપીટની સફાઈ જે તે ઝોન તરફથી કરવામાં આવતી હોય છે.

35 કરોડનું આંધણ કરાયા બાદ પણ વરસાદના સમયમાં અગાઉ ત્રણ વખત સાફ કરવામાં આવેલી કેચપીટ ફરીથી સાફ કરાવવી પડતી હોય તો એ બાબત પુરવાર કરે છે કે, અગાઉ ત્રણ વખત કેચપીટો સાફ કરાઈ હોવાના મ્યુનિસિપલ વહીવટી તંત્ર તરફથી કરવામાં આવેલા દાવાઓ પોકળ હતા.

26 ઓગસ્ટે આઠ અંડરપાસ બંધ કરાયા હતા
26 ઓગસ્ટે બપોરના સમયે પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી શહેરના વિવિધ અંડરપાસમાં ભરાઈ ગયા હતા. આ કારણથી આઠ જેટલા અંડરપાસ મ્યુનિ.તંત્રને લોકોની અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં 28 ઓગસ્ટે સ્કૂલોમાં રજા જાહેર, વરસાદથી ત્રણ દિવસમાં 15 મોત, હજુ 72 કલાકનું એલર્ટ

1. અખબારનગર
3.મીઠાખળી
3.ઉસ્માનપુરા
4. સાયોના, ચાંદલોડીયા
5.પરિમલ
6.મકરબા
7.શાહીબાગ
8.દક્ષિણી,મણિનગર

26 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પછી પાણી ભરાતા બંધ કરવામાં આવેલા દક્ષિણી તથા સાયોના, ચાંદલોડીયા અંડરપાસ 27 ઓગસ્ટના બપોર સુધી લોકો માટે ખોલવામાં આવ્યા નહતા. જ્યારે વૈષ્ણવ દેવી- ઝુંડાલ અંડર પાસ આજે ત્રીજા દિવસે પણ બંધ હાલતમાં છે. વૈષ્ણવ દેવી- ઝુંડાલ અંડર પાસ હજુ બે-ત્રણ દિવસ સુધી બંધ રહે તેવી શક્યતા લાગી રહી છે.


Google NewsGoogle News