ભાજપના પ્રભાવશાળી નેતા પાસેથી બંને પદ છીનવાયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ કાર્યવાહી

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Dharmendra Shah


Gujarat Politics: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

મેયર ઓફિસની એન્ટી ચેમ્બરને વ્યક્તિગત ઓફિસ બનાવી

ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય પાટીલે લીધો હતો.  શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી. મેયરની એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાકટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામા આવતા હોવા સુધીની ફરિયાદો પ્રદેશ ભાજપથી લઈ દિલ્હી સુધીના નેતા સુધી પહોંચી હતી. પોતે ચૂંટાયેલા કોર્પોરેટર ન હતા. આ કારણથી તેઓ મ્યુનિસિપલ કોપરેશનની કોઈપણ બેઠકમાં હાજર રહી ના શકે. તેમ છતા ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યૂ બેઠક હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અન્ય અધિકારીઓને રોફ સાથે સુચનાઓ આપતા હતા. 

આ પણ વાંચો: 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત? નેતાઓના આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું


કેટલીક સુચનોનું અમલ કરવું શક્ય ના હોવા છતાં અધિકારીઓને કમને પણ પ્રભારીએ સુચના આપી હોવાથી કામ કરવા પડતા હતા તે પણ કચવાતા મનથી. વર્ષ- 1995માં કાંકરિયા વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધર્મેન્દ્ર શાહે તેમના કાર્યકાળ સમયે કાંકરિયા તળાવ 89 લાખ રૂપિયાના ખર્ચથી ખોદાવી નાખવા દરખાસ્ત મંજૂર કરી હતી. તે સમયે આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. વર્ષ 2010માં તેમને ઔડાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યારે પણ અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા. હાલ તે વિદેશના પ્રવાસે હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. 

ભાજપના પ્રભાવશાળી નેતા પાસેથી બંને પદ છીનવાયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ કાર્યવાહી 2 - image


Google NewsGoogle News