ફરિયાદો કરવા છતાં ઉકેલાતી નથી , નિકોલની પચાસ સોસાયટીમાં પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદ
અમરાઈવાડી, ખાડિયા વોર્ડના વિસ્તારમાં પણ પાણીમાં પોલ્યુશન
અમદાવાદ,શુક્રવાર,13 ઓકટોબર,2023
અમદાવાદ મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં નિકોલ વોર્ડના
ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલે વોર્ડની પચાસ સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી
પ્રદૂષિત પાણી લોકોને મળતુ હોવા અંગે રજુઆત કરી હતી.બેઠકમાં અમરાઈવાડી અને ખાડિયા
વોર્ડના કેટલાક વિસ્તારમાં પાણીમાં પોલ્યુશન આવતુ હોવા મામલે સભ્યોએ રજુઆત કરી
હતી.વોર્ડ કક્ષાએ પાણીમાં પોલ્યુશન આવવા અંગે ફરિયાદો કરવા છતાં નહીં ઉકેલ આવતા
બેઠકમાં ડેપ્યુટી ચેરમેને ડેપ્યુટી કમિશનરને પાણીમાં પોલ્યુશન આવવા અંગેની
ફરિયાદોને ગંભીરતાથી લઈ ઉકેલવા તાકીદ કરી હતી.
પાણી સમિતિની બેઠકમાં નિકોલ વોર્ડની પચાસ સોસાયટીમાં
પ્રદૂષિત પાણી આવવા અંગે મ્યુનિ.તંત્રના અધિકારીઓ બચાવમાં ઉતરી આવ્યા
હતા.મ્યુનિ.અધિકારીઓએ નિકોલ વોર્ડની સોસાયટીઓમાં પાણીમાં પોલ્યુશન આવવા પાછળ
ડ્રેનેજલાઈન ઉપરાંત પાણી અને ડ્રેનેજલાઈન એક થવા સહિતના કારણોથી પ્રદૂષિત પાણી
આવવાની સમસ્યા રહે છે.બેઠકમાં નિકોલ-નરોડા વિસ્તારમાં હરીદર્શન ચોકડીથી રીંગરોડ
સુધી નવી ડ્રેનેજલાઈન નાંખવા નકકી કરાયુ હતુ.અમરાઈવાડી વોર્ડના કેટલાક વિસ્તારમાં
અપુરતા પ્રેસરથી પાણી મળવાની સાથે પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદો તંત્રને મળી
છે.શાહપુર અને દરિયાપુર વોર્ડના કેટલાક વિસ્તારમાં પણ અપુરતા પ્રેસરથી પાણી મળતુ
હોવાની રજુઆત કરવામાં આવી હતી.ખાડિયા વોર્ડમાં ઢાળની પોળ અને માંડવીની પોળ સહિતના
કેટલાક વિસ્તારમાં પાણીમાં પોલ્યુશન આવવા અંગે છેલ્લા ઘણાં સમયથી ફરિયાદો તંત્રને
કરવામાં આવી રહી છે.ચાંદલોડીયા તળાવને રુપિયા ૧.૭૦ કરોડના ખર્ચે ડેવલપ કરવા
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.