67 લાખ માંગી ધમકીઓ આપતા વ્યાજખોર સામે વાડજમાં ફરિયાદ
- ઉસ્માનપુરા સેન્ટર સ્પેશમાં આવેલી ઓફિસનો બનાવ
અમદાવાદ,તા.17 જુન 2023,શનિવાર
ઉસ્માનપુરામાં સેન્ટર સ્પેશમાં ઓફિસ ધરાવતા વ્યાજખોર સામે ધંમકીઓ આપી વધુ ૬૭ લાખની માંગણી કરતા વાડજ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે ગુરૂવારે રાત્રે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ભોગ બનનારે ૨૫ લાખ વ્યાજે લીધા બાદ છ ટકા લેખે વ્યાજ સહિત ૩૫ લાખ ચુકવ્યા હતા. જો કે, રૂપિયા આપનાર શખ્સે ૬૭ લાખ ચુકવવાના બાકી હોવાનું જણાવી બળજબરીથી લખાણ કરાવી મકાનનો કબ્જો આપી દેવા દબાણ કર્યું હતું. ફરિયાદીના ઘરે જઈ અપશબ્દો બોલી હાથ-પગ તોડી નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે.
૨૫ લાખના ૩૫ લાખ ચૂકવ્યા બાદ પણ વધુ રકમ માંગી બળજબરથી લખાણ કરાવી સહીઓ લીધી
નારણપુરામાં પત્રકાર કોલોનીમાં બાજુમાં આવેલા વિજયનગર ફલેટમાં રહેતાં અને માર્કેટીંગનો વેપાર કરતા કૌશલ ચારૂદત વ્યાસ (ઉં,૪૬)એ વાડજ પોલીસ સ્ટેશનમાં નૈમેષભાઈ મુકુન્દભાઈ શાહ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ રૂપિયાની જરૂર પડતા ફરિયાદીએ નૈમેષ શાહ પાસેથી છ ટકા વ્યાજે ૨૫ લાખ રૂપિયા લીધા જેની સામે ૩૫ લાખ ચુકવ્યા હતા. રકમ આપતા પહેલા નૈમેષ શાહે ફરિયાદી પાસેથી સહી કરેલા કોરા ચેકો લીધા હતા. તે પછી ફરિયાદીને બોલાવી પાંચ લાખ રોકડા લીધા અને બીજા સાડા પાંચ લાખ રોકડા લીધાના બે કરાર કરાવી સહીઓ લીધી હતી. વ્યાજ ચુકવવામાં મોડું થાય તો ફરિયાદીને વ્યાજના દસ ટકા રકમ વધુ રકમ ચુકવવી પડશે તેમજ ચક્રવૃધ્ધી વ્યાજ ચુકવવું પડશે તેવી ધમકીઓ નૈમેષ શાહ દ્વારા આપવામાં આવી હતી. આ રીતે વ્યાજ, વ્યાજનું વ્યાજ અને ચક્રવૃધ્ધી વ્યાજનો હિસાબ કાઢીને ફરિયાદી કૌશલ પાસે આરોપીએ ૬૭ લાખની ઉઘરાણી કરી હતી. કૌશલના ઘરે જઈ અપશબ્દો બોલી ધાકધમકી આપી મકાનનો કબ્જો આપી દેવા માટે નૈમેષ શાહ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. રસ્તામાં મળે તો મકાન આપી દેવા નહી તો હાથ પગ તોડી નાંખીશું તેવી ધમકીઓ કૌશલ વ્યાસને આપવામાં આવતી હતી. બનાવને પગલે ફરિયાદીએ વાડજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા પોલીસને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.