ગુજરાત યુનિવર્સિટી બહાર NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વ્યાયામવીરોના સમર્થનમાં કરી રહ્યાં હતા વિરોધ
NSUI Protest at Gujarat University: ગાંધીનગરમાં વ્યાયામવીરોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર એન.એસ.યુ.આઇ. દ્વારા વ્યાયામવીરોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો અને પ્રમુખ સહિતનાની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
આ મામલે એન.એસ.યુ.આઇના પ્રમુખે જણાવ્યું હતું કે સરકારા દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે અમે શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે શિક્ષકોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયના પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરી છે. જો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહી આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ
3100થી વધુ જગ્યાઓ ખાલી
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ(SAT)ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 5,000 જેટલી ખાલી જગ્યાઓમાં બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન(BPE), BPED, MPED-MPEનો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતાં 1,700 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. 1465 ખેલ સહાયકોને રિન્યુ કર્યા હતા. જ્યારે 3100થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે.
ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરાતી
વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો છે કે 'તેઓ છેલ્લા એક વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે, અનેક આવેદન પત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં નથી આવતું, અને કાયમી કરવામાં નથી આવતા, જેથી આજે ગાંધીનગરમાં રેલી સ્વરૂપે આવીને માંગ કરી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી જ નથી. જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે'.
કરાર આધારિત નોકરીમાં પણ પગારના ધાંધિયા
વ્યાયામ વીરોએ જણાવ્યું હતું કે, 'હાલ ગુજરાતભરના ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે રિન્યુની પ્રોસેસમાં ફરીથી ફોર્મ ભરવાના, સ્થળ પસંદગી કરીને મેરિટમાં નામ આવે ત્યાં સુધી બે મહિના સુધી બેસી રહેવાનું. આ સાથે ખેલ સહાયક તરીકે ફરજ બજાવતી વખતે શિયાળું અને ઉનાળું વેકેશનના બે મહિનાનો પગાર પણ મળતો નથી. આમ ખેલ સહાયકમાં કુલ 7-8 મહિનાનો જ પગાર અપાયો છે, એમાં પણ ચૂકવણીમાં ધાંધિયા કરવામાં આવે છે.'