Get The App

BZ કૌભાંડ : રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની અટકાયત

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
BZ કૌભાંડ : રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની અટકાયત 1 - image


BZ Ponzi scheme scam : ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. ભુપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મહા કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની CID ક્રાઇમે અટકાયત કરી છે. કિરણસિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણસિંહે ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી તપાસ આદરી છે.

ભુપેન્દ્રસિંહને શરણ આપી છૂપાવવામાં મદદ કરનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે. 

ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં BZ ફાયનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઑફિસો શરુ કરીને રોકાણ પર બમણાં વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરાતાં હવે આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

શું છે સમગ્ર મામલો 

સમગ્ર મામલામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભુપેન્દ્રસિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.



Google NewsGoogle News