મહાકુંભથી અમદાવાદ આવતી બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
Maha Kumbh Bus Accident news | મહાકુંભ 2025માં આ વખતે અનેક દુર્ઘટનાઓ થઇ ત્યારે મહાકુંભ આવતી કે જતી વખતે અનેક અકસ્માત સર્જાયાના પણ અહેવાલ સામે આવ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના રાજસમંદમાં ગુજરાતના શ્રદ્ધાળુઓથી ખીચોખીચ બસ પલટી ગયાની માહિતી સામે આવી છે.
બાળકનો હાથ કપાયો
આ બસ અકસ્માતમાં એક બાળકનો હાથ કપાઈ ગયાની માહિતી મળી રહી છે જ્યારે અન્ય 22 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બસમાં લગભગ 44 જેટલાં લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ અમદાવાદના રહેવાશી હોવાની જાણકારી છે. આ અકસ્માત બુધવારે રાતે 12:15 વાગ્યે સર્જાયો હોવાની જાણકારી છે.
પોલીસ અધિકારીએ આપી માહિતી
આ મામલે ચારભુજા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ રત્નુએ કહ્યું કે દેસુરી કી નાલ વિસ્તારમાં આવેલી ઘાટીમાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ બસ કેમ અને કેવી રીતે પલટી ગઈ તેનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. 21 લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.